Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કર્ણાટક હાઇકોર્ટની મહત્વની ટિપ્પણી

માતા-પિતા અનૌરસ હોઈ શકે છેઃ પરંતુ બાળકો નહીં

માતા-પિતા વિના આ દુનિયામાં કોઈ બાળકનો જન્મ નથી થઈ શકતો, પોતાના જન્મમાં બાળકની કોઈ ભૂમિકા નથી હોતી

બેંગ્લોર, તા.૧૫: કર્ણાટક હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન અનૌરસ બાળકોને લઈને એક મહત્વની વાત કહી છે. કોર્ટે કહ્યું કે, કાયદાએ આ હકીકતને માન્યતા આપવી જોઈએ કે, અનૌરસ માતા-પિતા હોઈ શકે છે, પરંતુ તેમના સંતાન નહીં. જસ્ટિસ બી.વી.નાગરત્નાની અધ્યક્ષતા વાળી એક ખંડપીઠે કહ્યું કે, માતા-પિતા વિના આ દુનિયામાં કોઈ બાળકનો જન્મ નથી થઈ શકતો. પોતાના જન્મમા બાળકની કોઈ ભૂમિકા નથી હોતી.

કોર્ટે આગળ જણાવ્યું કે, માટે આ સંસદનું કામ છે કે આ મુદ્દે કાયદામાં એકરુપતા લાવવામાં આવે. સંસદે નક્કી કરવાનું છે કે કાયદાકીય લગ્ન સિવાય જન્મ થયેલા બાળકોને કઈ રીતે સુરક્ષા પુરી પાડી શકાય છે. કોર્ટે અરજી કરનાર પક્ષ તરફથી દાખલ કરવામાં આવેલી અપીલ પર મંજુરી આપતાં બચાવપક્ષને યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ તરફથી ૨૦૧૧ના એક સકર્યુલરના આધાર પર અનુકંપા નિયુકિત માટે પાત્રતાથી વંચિત કરી દેવામાં આવ્યા હતા. સકર્યુલરમા કહેવામાં આવ્યુ હતું કે, ૨૦૧૧ કેપીટીસીએલ સકર્યુલરના એક કલોઝ અનુસાર બીજી પત્ની અથવા તેના બાળકો અનુકંપાના આધારે નિયુકિત માટે લાયક નથી.

અરજી કરનાર કે.સંતોષના પિતા કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડમાં લાઈનમેન તરીકે કામ કરતા હતા. વર્ષ ૨૦૧૪માં નોકરી દરમિયાન તેમનું મૃત્યુ થયું. ત્યારપછી તેમણે નોકરીની અરજી કરી હતી. ઉપરોકત સકર્યુલરના આધારે તેમની નોકરીની અરજીને ફગાવી દેવામાં આવી હતી. ત્યારપછી તેમણે કોર્ટની મદદ માંગી હતી. કોર્ટે સુનાવણી પછી કંપનીને બે મહિનામાં યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો છે.

(4:14 pm IST)