Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ગુરુ ગ્રંથ સાહેબની બેઅદબી યુવકે કર્યાનો નિહંગોનો દાવો

સિંધુ બોર્ડર પર યુવકની હત્યા મામલે માહોલ ગરમાયો : આ યુવક તંબૂમાં આવ્યો અને તે ગ્રંથ સાહેબને ઉઠાવીને ભાગતો હતો ત્યારે સેવાદારોએ તેને પકડી લીધો હતો

નવી દિલ્હી, તા.૧૫ : દિલ્હી હરિયાણાની સિંધુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે એક યુવકની બેરહેમીપૂર્વક કરાયેલી હત્યાના પગલે માહોલ ગરમ થઈ ગયો છે.

આ યુવકની ક્રૂરતરા પૂર્વક હત્યા કરીને તેને બેરીકેડ પર લટકાવી દેવાયો હતો અને તેનો હાથ કાપીને જોડે લટકાવવામાં આવ્યો હતો. આ ઘટનાએ દેશને સ્તબ્ધ કરી દીધો છે ત્યારે નિહંગ સિખોએ આ હત્યાની જવાબદારી લીધી છે.

નિહંગ સિખોનો એક વિડિયો વાયરલ થયો છે અને તેમાં તેઓ કહેતા સંભળાઈ રહ્યા છે કે, આ પાપી યુવકે ગુરૂ ગ્રંથ સાહેબની બેઅદબી કરી હતી અને તેના કારણે અમારી સેનાએ તેનો હાથ કાપી નાંખ્યો છે અને તેનો પગ પણ કાપી નાંખ્યો છે.

એક ન્યૂઝ વેબસાઈટ પર દર્શાવાયેલા વિડિયોમાં નિંહગો કહી રહ્યા છે કે, ગઈકાલે રાત્રે આ યુવક તંબૂમાં આવ્યો હતો. તે ગ્રંથ સાહેબને ઉઠાવીને ભાગતો હતો ત્યારે સેવાદારોએ તેને પકડી લીધો હતો. જ્યારે તેની પૂછપરછ કરાઈ અ્ને તે કશું કહેવા તૈયાર ના થયો ત્યારે પહેલા તેનો હાથ કાપવામાં આવ્યો હતો અને એ પછી તેનો પગ કાપી નાંખવામાં આવ્યો હતો. બાદમાં તેનુ મોત થયુ હતુ.

દરમિયાન યુવકનો પણ મરતા પહેલાનો વિડિયો વાયરલ થયો છે. આ યુવક લોહીથી લથપથ પડયો છે ત્યારે આજુબાજુ ટોળે વળેલા લોકો તેને પૂછે છે કે તુ કોણ છે અને ક્યાંથી આવ્યો છે ત્યારે આ યુવક જવાબ આપે છે કે, હું કબુલ છું કે નિહંગોએ મારો હાથ કાપ્યો છે અને સાથે સાથે કહે છે કે, મારૂ માથુ કાપી નાંખવામાં આવે..હવે મારાથી દર્દ સહેવાતુ નથી ત્યારે નિહંગ તેને કહે છે કે, તુ તડપી તડપીને મરીશ.

(7:27 pm IST)