Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

વાહ! શિવપુરાણ કથા માટે જગ્‍યા જોઈતી હતીઃ મુસ્‍લિમ પરિવારે ઉભો પાક કાપીને આપી દીધી ૬૦ એકર જમીન

જે જિલ્લો કોમી રમખાણોને કારણે ઓળખાય છે ત્‍યાં ધાર્મિક એકતાની એક અનોખી મિસાલ સામે આવી છે

ઔરંગાબાદ,તા.૧૬:  વિવિધતામાં એકતા! ભારત દેશ એટલે વિવિધ સંસ્‍કૃતિઓ, ધર્મો, સમુદાયો અને રિવાજોનો દેશ. અને તાજેતરમાં જ પરભાની જિલ્લામાં એક એવી વાત બની જેના કારણે ફરી એકવાર સાબિત થયું કે આજે પણ દેશમાં ઘણાં લોકો એવા છે જે એકતામાં વિશ્વાસ ધરાવે છે. અહીં હિન્‍દુ ધર્મને લગતા એક પાંચ દિવસના કાર્યક્રમનું આયોજન કરવાનુ હતું, જેના માટે મુસ્‍લિમ પરિવારે ૬૦ એકર જમીન વાપરવા માટે આપી દીધી. તેમની આ પહેલના સૌ વખાણ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પરભાની એક એવો જિલ્લો છે જયાં અવારનવાર કોમી રમખાણો થતા હોય છે અને તંત્રએ હંમેશા એલર્ટ મોડ પર રહેવું પડે છે. જયારે અહીંના સૈયદ પરિવારને જાણકારી મળી કે શિવસેનાના સાંસદ સંજય જાધવ એક એવી જમીનની શોધ કરી રહ્યા છે જે રોડથી નજીક હોય તો તેઓ આગળ આવ્‍યા અને પોતાની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. સાંસદ અહીં શિવપુરાણ કથાનું આયોજન કરવા માંગતા હતા.

નોંધનીય છે કે સૈયદ પરિવારે જમીનનો ઉપયોગ કરવા માટે પૈસા પણ નથી માંગ્‍યા. તેમણે વિનામૂલ્‍યે જ જમીન આપી દીધી હતી અને ૧૫ એકર જમીન પર જે તુવેરનો પાક ઉભો હતો તે પણ કાપી કાઢ્‍યો. આ સિવાય ચાર એકર જમીન પર ચણા વાવવામાં આવ્‍યા હતા. તેમની આ મદદને કારણે શિવપુરાણ કથાની શરુઆત થઈ ગઈ અને પાંચ દિવસ સુધી તે ચાલુ રહેશે.

પરિવારના એક ૨૫ વર્ષીય સભ્‍ય સૈયદ શોએબ અમારા સહયોગી ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયાને જણાવે છે કે, આજની તારીખમાં ધાર્મિક ધ્રુવીકરણ દેશનો સૌથી મોટો પડકાર છે. અમે જે પણ કર્યું તેનો ઉદ્દેશ એ જ છે કે અલગ અલગ ધાર્મિક માન્‍યતાઓ ધરાવતા લોકોની વચ્‍ચેનું અંતર દૂર કરવાનું છે. શોએબના પિતા અબુબકર ભાઈજાન જણાવે છે કે, આ કાર્યક્રમ સાંસદના નેતૃત્‍વમાં થવાનો હતો. તેઓ એક વિશાળ જગ્‍યાની શોધમાં હતા, પરંતુ ઉભા પાકને કારણે તે મળવી મુશ્‍કેલ હતી. જયારે અમારા સુધી વાત આવી કે ધાર્મિક કાર્યક્રમ માટે ભાડેથી જમીન જોઈએ છે તો અમે માની ગયા અને વિનામૂલ્‍યે જમીન આપી.

તેમણે વધુમાં જણાવ્‍યું કે, ખેતરમાં જે તુવેર અને ચણાનો પાક નાખવામાં આવ્‍યો હતો તે પરિવારના લોકો અને ખેતરમાં કામ કરતા લોકો માટે હતો, તેમજ ઘોડા અને અન્‍ય પશુઓના ઉપયોગ માટે હતો. ભૂતકાળમાં જિલ્લામાં અનેક રમખાણો થયા છે, માટે અમે લોકોમાં સોહાર્દ વધારવા માંગીએ છીએ. શોએબના મામા સૈયદ અબ્‍દુલ કાદર જણાવે છે કે, એક મહિના પહેલા જ તહીં તબલીગ જમાતનો ઈજતેમા(મેળાવડો) થયો હતો, તેના માટે મુસ્‍લિમો જ નહીં હિન્‍દુ ભાઈઓએ પણ પોતાની જમીન આપી હતી. તે સમયે ૩ લાખ લોકો એકઠા થયા હતા. હવે જયારે હિન્‍દુ ભાઈઓને જમીનની જરૂર છે ત્‍યારે અમારી ફરજ છે કે તેમની મદદ માટે આગળ આવીએ.

સાંસદ સંજય જાધવ જણાવે છે કે, મુસ્‍લિમ પરિવારે પોતાનો પાક પાડીને જમીન આપી તે પહેલ હૃદયસ્‍પર્શી છે. અમે તેમના વખાણ કરીએ છીએ અને આભાર પણ વ્‍યક્‍ત કરવા માંગીએ છીએ. 

(11:16 am IST)