Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

આવતા ૪ સપ્તાહ પણ ઘણા મહત્વના : નિષ્ણાંતો

૨૦ થી ૨૫ એપ્રિલ સુધી કોરોના કોહરામ મચાવશે : વાયરસ હશે તેના પીક ઉપર

નવી દિલ્હી તા. ૧૬ : દેશમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણની વચ્ચે હેરાન કરનાર સમાચાર સામે આવ્યા છે. કોરોના પર નજર રાખતા નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા થોડાંક દિવસમાં કોરોના પીક પર હશે. કોરોના વાયરસને લઇ નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલે જયાં આવતા ચાર સપ્તાહને ખૂબ જ અગત્યના ગણાવ્યા છે ત્યાં આઇઆઇટી કાનપુરની ટીમે ગાણિતિક મોડલના આધાર પર કહ્યું છે કે દેશમાં કોરોનાની લહેર ૨૦ થી ૨૫ એપ્રિલની વચ્ચે પીક પર રહેશે.

IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલના મતે કોરોનાની બીજી લહેર પહેલાં કરતાં પણ વધુ ખતરનાક દેખાય રહી છે. ૧૫ એપ્રિલ એટલે કે ગઇકાલે કોરોનાના કેસ બે લાખે પહોંચી ગયા છે. હજુ પણ સંકટ ઓછું થયું નથી. અમારી ટીમે જે ગાણિતિક મોડલથી કોરોના પર નજર રાખી છે તેના મતે ૨૦ થી ૨૫ એપ્રિલની વચ્ચે આ આંકડો બે લાખ સુધી પહોંચવો જોઇતો હતો. જો કે સ્થિતિ ઘણી બદલાઇ ચૂકી છે. પીક વેલ્યુ બદલાય રહી છે. અમને આશા છે કે ૨૦ થી ૨૫ એપ્રિલની વચ્ચે કોરોના પીક પર હશે. ત્યારબાદ થોડીક રાહત મળવા લાગશે.

અગ્રવાલે કહ્યું કે ૨૫ એપ્રિલ બાદ કોરોનાથી રાહત મળવાની શરૂ થઇ જશે અને એકિટવ કેસ ઓછા થવા લાગશે. તેમણે કહ્યું કે મેના અંત સુધીમાં સ્થિતિ શ્રેષ્ઠ થવા લાગશે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે તમામ રાજયોમાં એક સામાન્ય સ્થિતિ જ દેખાશે. જયાં કોરોનાના કેસ સૌથી વધુ છે ત્યાં પણ મેના અંત સુધીમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે. હાલની લહેર પાછલી લહેર કરતાં અલગ છે. દરરોજ નોંધાતા મોત આ વખત સંક્રમણના દરની સરખામણીમાં ઓછા છે. વેકસીન આવ્યા બાદ લોકોએ બેદરકારી રાખી તેના લીધે કોરોનાના આંકડામાં વધારો થયો. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે આ વખતે મોતના આંકડા ઓછા થવાથી થોડીક રાહત ચોક્કસ મળી છે. પાછલી વખતે જયારે દેશમાં એક લાખ કોરોના કેસ થયા હતા ત્યારે મોતના આંકડા એક હજારની નજીક પહોંચવા લાગ્યા હતા. આ વખતે બે લાખ કેસ થવા પર પણ મોતનો આંકડો એક હજાર સુધી પહોંચ્યો નથી. મોડલના મતે સંક્રમણની પહોંચ છેલ્લાં બે મહિનામાં ૩૦ ટકા સુધી વધી છે.

(11:03 am IST)