News of Thursday, 16th September 2021
હૈદરાબાદ , તા.૧૬ : હૈદરાબાદમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા પછી તેની હત્યા કરનારા આરોપીનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો છે. તેલંગણા પોલીસના ડીજીપીએ શરીર પર મળેલા ટેટૂના નિશાન અને અન્ય ઓળખને આધારે મૃતક આરોપી હોવાની પૃષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે માસૂમ બાળકી સાથે આ પ્રકારનું ધૃણાસ્પદ કૃત્ય થયા પછી વિરોધનો વંટોળ ઉભો થયો હતો અને રાજ્યના એક મંત્રીએ આરોપીને શોધીને એક્નાઉન્ટર કરવાની વાત કહી હતી.
તેલંગણા પોલીસના ડીજીપીના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પરથી ટ્વિટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. તેમણે લખ્યું છે કે, બાળકી સાથે રેપ રીને તેની હત્યા કરનાર આરોપી રેલવે ટ્રેક પર મૃત અવસ્થામાં મળી આવ્યો છે. આ સ્થળ ઘાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. મૃતકના શરીર પર મળી આવેલા નિશાન પરથી ઓળખની પૃષ્ટિ કરવામાં આવી છે. તેમણે રેલવે ટ્રેક પર પડેલા મૃતદેહનો ફોટો પણ શેર કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હૈદરાબાદ પોલીસ કમિશનર અંજની કુમારે આશંકા વ્યક્ત કરી છે કે આરોપીએ આત્મહત્યા કરી છે. આરોપીના હાથ પર નામ, ટેટુ, વાળની સ્ટાઈલ પરથી તેની ઓળખ કરવામાં આવી છે. જો કે ફિંગરપ્રિન્ટની પણ તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઘટના બની ત્યારથી આરોપી ફરાર હતો અને પોલીસે તેને શોધવા પર ૧૦ લાખ રુપિયાના ઈનામની પણ જાહેરાત કરી હતી. બે દિવસ પહેલા તેલંગણાના મંત્રી ચામાકુરા મલ્લ રેડ્ડીએ બાળકી સાથે રેપ કરનારા આરોપીનું એક્નાઉન્ટર કરવાની વાત કહી હતી. તેમણે કહ્યુ હતું કે આરોપીને પકડીને ગોળી મારી દઈશું. આ ઘટના ગત સપ્તાહમાં હૈદરાબાદના સૈદાબાદ વિસ્તારમાં બની હતી.
આરોપીની ઓળખ ૩૦ વર્ષીય પલ્લાકોંડા રાજૂ તરીકે થઈ છે. આ ઘટનાને કારણે આ વિસ્તારમાં આક્રોશ છે. ઘટનાસ્થળ પર પોલીસની ટીમ પહોંચી તો તેમના પર પત્થારમારો પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા તેલંગણા પોલીસે હૈદરાબાદમાં ગેંગરેપના ચાર આરોપીઓનું ૨૭ નવેમ્બર, ૨૦૧૯ના રોજ એક્નાઉન્ટર કર્યુ હતું. પોલીસે એક ડોક્ટર યુવતી સાથે દુષ્કર્મ આચરનારા આ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ એક્નાઉન્ટર પર સવાલ પણ ઉભા થયા હતા.