Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

દેશમાં ઘઉંનો સ્‍ટોક અડધો થયો : ખાદ્યપદાર્થો થઈ શકે છે મોંઘા

જ્‍યારે ઘઉંનો નવો પાક આવશે, ત્‍યારે સ્‍ટોક વધશે અને ભાવ અમુક અંશે નીચે આવશે

નવી દિલ્‍હી, તા.૧૬: આગામી દિવસોમાં ઘઉં અને તેમાંથી બનતી પ્રોડક્‍ટ્‍સના ભાવમાં વધારો થઈ શકે છે, કારણ કે સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્‍ટોક છેલ્લા એક વર્ષની સરખામણીમાં અડધો થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં રાજ્‍યના વેરહાઉસમાં ઘઉંનો સ્‍ટોક ૨૧ મિલિયન ટન હતો, જે ૧ નવેમ્‍બર ૨૦૨૧ના રોજ ૪૨ મિલિયન ટન કરતાં ઓછો હતો. પરંતુ સરકારનો ૩૧ ડિસેમ્‍બરના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે ૨૦.૫ મિલિયન ટનનો સત્તાવાર લક્ષ્ય હતો, જે થોડો વધારે છે.

રિપોર્ટ અનુસાર, ૧ ઓક્‍ટોબરના રોજ સરકાર દ્વારા સંચાલિત અનાજ ભંડારમાં ઘઉંનો સ્‍ટોક ૨૨.૭ મિલિયન ટન હતો. ત્‍યારે કેન્‍દ્ર સરકારે છૂટક બજારને અંકુશમાં લેવા માટે ઘઉં રિલીઝ કર્યા હતા. આમ પણ લોટ અને બિસ્‍કિટ ઉત્‍પાદકો જેવા જથ્‍થાબંધ ખરીદદારો માટે સરકાર નિયમિતપણે ઘઉં રિલીઝ કરે છે. આવી સ્‍થિતિમાં, નિષ્‍ણાતો કહે છે કે આ જ કારણ છે કે સરકારી ઘઉંનો સ્‍ટોક ઘટયો છે.

આપને જણાવી દઈએ કે, કેન્‍દ્ર સરકારે મે મહિનામાં વધતા ભાવને રોકવા માટે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકયો હતો. ત્‍યારથી ઘઉંના ભાવમાં ૨૭ ટકાનો વધારો થયો છે. ત્‍યારે કેન્‍દ્ર સરકારનું માનવું છે કે જ્‍યારે ઘઉંનો નવો પાક આવશે, ત્‍યારે સ્‍ટોક વધશે અને ભાવ અમુક અંશે નીચે આવશે.

ઉત્‍પાદકો અને વેપારીઓનું કહેવું છે કે આવતા વર્ષની શરૂઆતમાં બજારમાં નવી સિઝનના પાકના આગમન સુધી ભારતીય ઘઉંના ભાવ ઊંચા રહેવાની ધારણા છે. જો હવામાન પરિસ્‍થિતિઓ અનુકૂળ રહે અને માર્ચ અને એપ્રિલની લણણી દરમિયાન તાપમાનમાં કોઈ અસામાન્‍ય વધારો ન થાય, તો ભારતનું ઘઉંનું ઉત્‍પાદન ૨૦૨૧ના ૧૦૯.૫૯ મિલિયન ટનના સ્‍તરે પાછું આવી શકે છે

ભારતીય ખેડૂતોએ ૧ ઓક્‍ટોબરથી અત્‍યાર સુધીમાં ૪.૫ મિલિયન હેક્‍ટરમાં ઘઉંનું વાવેતર કર્યું છે. ખાસ વાત એ છે કે આ આંકડો ગત વર્ષ કરતા ૯.૭% વધુ છે. ત્‍યારે સ્‍થાનિક ઘઉંના ભાવ ગુરુવારે રેકોર્ડ ૨૬,૫૦૦ રૂપિયા (઼૩૨૪) પ્રતિ ટન પર પહોંચી ગયા, જે મે મહિનામાં નિકાસ પર પ્રતિબંધ પછી લગભગ ૨૭% વધારે છે. જો કે, સરકારનું કહેવું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે સરકારના ગોડાઉનમાં ઘઉં અને ચોખા બંનેનો સંતોષકારક સ્‍ટોક છે.

(10:39 am IST)