Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

મહારાષ્ટ્રમાં કોરોના કાબુમાં નહીં આવે તો લગાવાશે સંપૂર્ણ લોકડાઉન

મહારાષ્ટ્રમાં હાલમાં ૧૫ દિવસનું લોકડાઉન લગાવાયું છેઃ પ્રતિબંધોથી કોરોનાની ચેઈન નહીં તૂટે તો સંપૂર્ણ લોકડાઉનનો નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આપ્યા સંકેત

મુંબઈ, તા.૧૭: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કહેરને જોતા ૧૫ દિવસ સુધી કડક પ્રતિબંધો લગાવી દેવાયા છે. આ દરમિયાન ચર્ચા છે કે, તેમ છતાં પણ કોરોના કેસો કાબુમાં નહીં આવે તો મહારાષ્ટ્ર સરકાર સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો નિર્ણય લઈ શકે છે. શુક્રવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જણાવ્યું કે, અમારા મંત્રીમંડળમાં સામેલ કેટલાક મંત્રીઓએ કહ્યું છે કે, જો હાલના પ્રતિબંધોનું લોકો યોગ્ય રીતે પાલન નહીં કરે તો ન ઈચ્છવા છતાં પણ ગત વર્ષની જેમ સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો સમય આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગત ૧૩ એપ્રિલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું હતું કે, મિની લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ સિવાયની બધી ઓફિસો બંધ રહેશે.. ઈકોમર્સ, બેંક, મીડિયા, પેટ્રોલ પંપ, સુરક્ષા ગાર્ડ જેવા લોકોને તેમાં છૂટ અપાઈ છે. રેસ્ટોરન્ટ વગેરે ખુલ્લા રહેશે, પરંતુ ત્યાં બેસીને ખાવા પર રોક રહેશે. માત્ર હોમ ડિલિવરી અને ટેક-અવેની સુવિધા રહેશે.

અજિત પવારે કહ્યું કે, મહારાષ્ટ્રના બધા ધારાસભ્યોને વાર્ષિક ૪ કરોડ રૂપિયા ધારાસભ્ય નિધિના મળે છે. અમે નિર્ણય લીધો છે કે, કોરોના દર્દીઓ સાથે સંલગ્ન સુવિધાઓ માટે દરેક ધારાસભ્યના ફંડમાંથી એક કરોડ રૂપિયા લેવામાં આવશે.

પવારે કહ્યું કે, એકસપર્ટસનું કહેવું છે કે, ૨૫ થી ૩૦ ટકા કોરોના દર્દીઓને કે વધુમાં વધુ ૪૦ ટકાને રેમડેસિવિરની જરૂર હોય છે. ખાનગી હોસ્પિટલોમાં ડોકટરો તેમના સંબંધીઓને કહે છે કે, કંઈપણ કરો પણ રેમડેસિવિર ઈન્જેકશન લઈને આવો. તેમણે ડોકટરોને વિનંતી કરી કે દરેક દરેક દર્દીને રેમડેસિવિર ઈન્જેકશન આપવાનો પ્રયાસ ન કરો. જેને ખરેખર જરૂર છે, તેને જ ઈન્જેકશન આપો. રેમડેસિવિર ઈન્જેકશન લાવવા માટે જે કંઈ કરવાની જરૂર છે, તે કરવામાં આવી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

બેઠક પછી પત્રકારોને અજિત પવારે જણાવ્યું કે, જયાં સુધી શરદ પવાર, ઉદ્ઘવ ઠાકરે અને સોનિયા ગાંધી આ સરકારનું સમર્થન કરી રહ્યા છે, તેને પગના નખ જેટલો પણ ફરક નહીં પડે. આ સરકાર સ્થિર છે. સરકારની સ્થિરતાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસ પહેલા મહાઅખાડી સરકારમાં સામેલ કોંગ્રેસ અને શિવસેના વચ્ચે મતભેદના અહેવાલો આવ્યા હતા.

(10:08 am IST)