Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

ભાજપ અને RSS વોટ્સએપ, ફેસબુક કંટ્રોલ કરે છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીના ભાજપા પાર્ટી પર પ્રહાર : ભાજપના નેતાઓની પોસ્ટ્સ હટાવવાથી દેશમાં કંપનીના બિઝનેસને અસર પડશે, ફેસબુક માટે ભારત મોટું બજાર

નવી દિલ્હી, તા.૧૬ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેટલાક મહિના, ખાસ કરીને જ્યારથી ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો છે, ત્યારથી મોદી સરકાર પર હુમલો કરવાની એક તક ચૂકતા નથી. રાહુલ ક્યારેક બેરોજગારીના મુદ્દે તો ક્યારેક કોરોનાને લઈને સરકાર પર પ્રહાર કરતા રહે છે. હવે, રાહુલ ગાંધીએ અમેરિકાના એક ન્યૂઝ પેપરના રિપોર્ટને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. હકીકતમાં, અમેરિકાના ન્યૂઝ પેપર ધ વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, ફેસબુક ભાજપના નેતાઓની 'હેડ સ્પીચ'વાળી પોસ્ટ્સ સામે એક્શન લેવામાં 'જાણી-જોઈને' ઉતાવળ ન કરી. આ એ વિસ્તૃત યોજનાનો ભાગ હતો, જે અંતર્ગત ફેસબુકે ભાજપ અને કટ્ટરપંથી હિંદુઓને 'ફેવર' કરી. આ રિપોર્ટનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે, 'ભાજપ અને આરએસએસ ફેસબુક અને વોટ્સએપને નિયંત્રિત કરે છે. તે તેના માધ્યમથી ફેક ન્યૂઝ અને નફરત ફેલાવે છે અને તેનો ઉપયોગ મતદારોને પ્રભાવિત કરવા માટે કરે છે.

              આખરે અમેરિકાનું મીડિયા ફેસબુક અંગે સત્યની સાથે સામે આવ્યું છે. રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, ફેસબુક ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડાયરેક્ટર અનખી દાસે સ્ટાફને કહ્યું હતું કે, 'ભાજપના નેતાઓની પોસ્ટ્સ હટાવવાથી દેશમાં કંપનીના બિઝનેસને અસર પડશે.' ફેસબુક માટે યૂઝર્સની દ્રષ્ટિએ ભારત સૌથી મોટું બજાર છે. રિપોર્ટમાં ટી રાજા સિંહની એક પોસ્ટનો ઉલ્લેખ કરાયો હતો, જેમાં કથિત રીતે લઘુમતીઓની સામે હિંસાની વકીલાત કરાઈ હતી. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, ફેસબુકના ઈન્ટરનલ સ્ટાફે નક્કી કર્યું હતું કે, 'ખતરનાક વ્યક્તિઓ અને સંસ્થાઓ'વાળી પોલિસી અંતર્ગત રાજા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ફેસબુકના પ્રવક્તા એન્ટી સ્ટોને કહ્યું કે, દાસે રાજકીય અસ્થિરતાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સ્ટોન મુજબ, રાજાને ફેસબુક રહેવા દેવા પાછળ માત્ર એક કારણ ન હતું. વોલ સ્ટ્રીટ જર્નલે સવાલ કર્યા બાદ રાજાની કેટલીક પોસ્ટસને ડિલીટ કરી દેવાઈ છે.

(12:00 am IST)