Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

પેટ્રોલ-ડિઝલ આવી શકે છે જીએસટીના દાયરામાં

કોરોના ઉપચાર માટેની દવાઓ પર રાહતની શકયતા : આજે જીએસટી પરિષદની બેઠક

નવી દિલ્‍હી તા. ૧૭ : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્‍યક્ષતામાં જીએસટી પરિષદની ૪પ મી બેઠક આજે ૧૭ સપ્‍ટેમ્‍બરે લખનૌમાં થશે. તેમાં ચાર ડઝનથી વધારે વસ્‍તુઓ પર ટેક્ષ દરની સમિક્ષા થઇ શકે છે. જેમાં કોરોના સંબંધી ૧૧ દવાઓ પર ટેક્ષ  છૂટને ૩૧ ડીસેમ્‍બર ર૦ર૧ સુધી લંબાવવાનો નિર્ણય પણ થઇ શકે છે. આ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ, કુદરતી ગેસ અને એવીએશન ટર્બાઇન ફયુઅલ (વિમાન ઇંધણ) ને જીએસટીના દાયરામાં લાવવા પર વિચારણા થઇ શકે છે. સુત્રોનું કહેવું છે કે આ બેઠકમાં જીએસટી પરિષદ સાથે જોડાયેલી બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે કોમન ઇલેકટ્રોનિક પોર્ટલ પણ લોંચ થઇ શકે છે.
જીએસટી પરિષદ, ઝોમેટો અને સ્‍વીગી જેવી ઓનલાઇન ફુડ ડીલીવરી એપને રેસ્‍ટોરન્‍ટ ગણીને તેમની ડીલીવરી પર પાંચ ટકા જીએસટી લગાવવાના પ્રસ્‍તાવ પર વિચારણા કરી શકે છે. નાણાં મંત્રાલયે ટવીટ કરીને જણાવ્‍યુ કે સવારે ૧૧ વાગ્‍યે શરૂ થનારી બેઠકમાં રાજયો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના નાણાં પ્રધાનો તથા કેન્‍દ્ર સરકાર અને રાજય સરકારના સીનીયર અધિકારીઓ ઉપરાંત નાણાં રાજય પ્રધાન પંકજ ચૌધરી પણ સામેલ થશે.
આ ઉપરાંત, બેઠકમાં કોરોનાની સારવાર માટેના ઉપકરણો અને દવાઓ પર પણ ટેક્ષમાં છૂટછાટ અપાઇ શકે છે. ૧ર જૂને થયેલ જીએસટી પરિષદની ૪૪મી બેઠકમાં, ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી કોરોના સારવારમાં વપરાતી દવાઓ અને ઉપકરણો પર જીએસટીના દર ઘટાડાયા હતાં. હવે આ છૂટછાટ ૩૧ ડીસેમ્‍બર સુધી લંબાવવામાં આવે તેવી શકયતા છે.
આ બેઠકમાં રાજયોને નુકસાનના વળતર પર પણ ચર્ચા થઇ શકે છે. જણાવી દઇએ કે ઓગસ્‍ટ મહિનામાં જીએસટીની આવક ૧,૧ર,૦ર૦ કરોડ રૂપિયા રહી છે. નાણાં મંત્રાલયે જણાવ્‍યું કે ઓગસ્‍ટમાં ૧,૧ર,૦ર૦ કરોડ રૂપિયાની કુલ જીએસટીની આવકમાં સીજી એસટીનો હિસ્‍સો ર૦પરર કરોડ, એસજીએસટીની હિસ્‍સેદારી ર૬,૬૦પ કરોડ રૂપિયા રહ્યો. એકીકૃત જીએસટીની હિસ્‍સેદારી પ૬ર૪૭ કરોડ અને સેસની હિસ્‍સેદારી ૮૬૪૬ કરોડ રૂપિયા રહી છે.

 

(10:44 am IST)