Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સીબીઆઈની બિલ્ડિંગના ભોંયરામાં ભારે આગ લાગી

તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કાઢ્યા : ફાયરબ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ

નવી દિલ્હી,તા.૧૭ : રાજધાની દિલ્હીમાં લોધી રોડ વિસ્તારોના સીજીઓ કોમ્પ્લેક્સ સ્થિત સીબીઆઇ બિલ્ડિંગમાં આગ લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ બિલ્ડિંગના બેસમેંટમાં લાગી છે. હાલ ઇમારતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને ફાયરબ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.  જાણકારી મળી છે કે ફાયર વિભાગને બપોરે ૧:૩૬ વાગે સીબીઆઇની ઓફિસમાં આગ લાગી હોવાની ખબર પડી હતી.

            હાલ આગ લગાવાનું કારણ જાણી શકાયું નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગ શોર્ટ સર્કિંટના લીધે લાગી છે. જોકે સીબીઆઇના હેડક્વાર્ટરમાં તમામ પ્રકારના એકદમ જરૂરી અને ગોપનીય દસ્તાવેજ રહે છે. એવામાં અહીં આગ લાગવાની ઘટના મોટી ગણવામાં આવે છે. તમને જણાવી દઇએ કે આ વર્ષે જુલાઇમાં પણ આ બિલ્ડિંગના ભોંયરામાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી. જોકે ત્યારે કોઇ જાનમાલને નુકસાન થયું ન હતું. સીબીઆઇ બિલ્ડિંગના ભોંયરામાં ટ્રાંસફોર્મર અને એસી સહિત વિજળી સાથે જોડાયેલા ઉપકરણ રાખવામાં આવે છે.

(7:32 pm IST)