Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

વાહ દુબઇ વાહ...૮૦ દિવસની સારવારનું રૂ. ૧.૫૨ કરોડનું બિલ માફ કર્યુ : ભાડુ'ય દીધુ

ફ્રી ટીકીટ- બિલ માફ ઉપરાંત રૂ.૧૦,૦૦૦ આપ્યાઃ માનવતાના દર્શન

દુબઈ,તા.૧૭ : દુબઈમાં આવેલી એક હોસ્પિટલે માનવતા દાખવતા તેલંગાણાના એક કોવિડ-૧૯ સંક્રમિત દર્દીનું ભારતીય ચલણ મુજબ ૧.૫૨ કરોડ રૂપિયાનું બિલ માફ કર્યું છે. આ ઉપરાંત વોલેન્ટીયરોએ દર્દીના ભારત પરત જવા માટે ફ્રી રિટર્ન ટિકિટ ઉપરાંત ૧૦,૦૦૦ રૂપિયાની પણ વ્યવસ્થા કરી આપી.બુધવારે વહેલી સવારે હૈદરાબાદના ૪૨ વર્ષના રાજેશ લિંગૈયા દુબઈની હોસ્પિટલમાં ૮૦ દિવસ સુધી સારવાર કરાવ્યા બાદ પાછા આવતા પરિવાર તેમને લેવા પહોંચ્યો હતો.

તેલંગાણાના જગતિઅલ જિલ્લાના વેણુગુમાલ્ટા ગામનો વતની રાજેશ દુબઈમાં છેલ્લા બે વર્ષોમાં કન્સ્ટ્રકશન વર્કર તરીકે કામ કરતો હતો. તેને દુબઈમાં બીમાર પડ્યા બાદ ૨૩ એપ્રિલે દુબઈ હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો. બાદમાં તે કોરોના સંક્રમિત મળી આવ્યો. જોકે ૮૦ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર બાદ તેના સાજા થયા બાદ ૭,૬૨,૫૫૫ દિરહમ (૧.૫૨ કરોડ રૂપિયા)નું બિલ આપવામાં આવ્યું હતું.

દુબઈમાં ગર્લ્ફ વર્કર્સ પ્રોટેકશન સોસાયટી પેસિડેન્ટ ગુંદેલ્લી નરસિમ્હા જેઓ સારવાર દરમિયાન રાજેશના સંપર્કમાં હતા, તેમને માલુમ પડ્યું કે રાજેશ હોસ્પિટલનું બિલ ચૂકવવામાં સક્ષમ નથી. તેણે સમગ્ર વાત દુબઈમાં ઈન્ડિયન કોન્સ્યુલેટ વોલેન્ટીયર સુમંથ રેડ્ડીને જણાવી. સુમંથ અને BAPS સ્વામિનારાયણ ટ્રસ્ટના વોલેન્ટીયર અશોક કોટેચાએ વાત દુબઈમાં ઓફિસ ઓફ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાને જણાવી. તેમણે દુબઈ હોસ્પિટલ મેનેજમેન્ટને પત્ર લખ્યો અને માનવતા દાખવીને બીલ માફ કરવા વિનંતી કરી. તેમની વાત માનતા હોસ્પિટલે તરત જ દર્દીને કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વિના ડિસ્ચાર્જ કરી દીધો.

આ સાથે જ અશોક કોટેચાએ રાજેશ તથા તેની સાથે ઘરે જતા અન્ય વ્યકિત માટે ફ્લાઈટની ફ્રી ટિકિટ તથા ખર્ચ માટે ૧૦,૦૦૦ રૂપિયાની વ્યવસ્થા કરી આપી. રાજેશને તેલંગણા પહોંચ્યા બાદ હવે ૧૪ દિવસના કવોરન્ટાઈન માટે પોતાના ગામમાં મોકલી દેવામાં આવ્યો છે.

(12:00 am IST)