Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

મહારાષ્‍ટ્રઃ મહિલાને ડાકણ ગણાવી નગ્ન કરી ગામમાં ફેરવી

વિડીયો વાયરલ થતાં પોલીસ એકશનમાં આવી

મુંબઇ,તા. ૧૯: મહારાષ્ટ્રના નંદુરબારથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં મહિલાને ડાકણ ગણાવી તેને બધાની વચ્‍ચે નગ્ન કરી દેવામાં આવી હતી અને બાદમાં નગ્ન સ્‍થિતિમાં તેને લોકો વચ્‍ચે ફેરવવામાં આવી હતી. ગામનાં લોકોનો આરોપ હતો કે, મહિલા કાળો જાદૂ કરે છે. મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (MANS) દ્વારા નંદુરબારના તંત્રને આ મામલે તપાસ કરવા માટે વિનંતી કરવામાં આવી છે. વિડીયોને આધારે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ભારતના ૧૨ રાજયોમાં ડાકણ અને ભૂત-પ્રેતનો શિકાર કરવા જેવી અંધશ્રદ્ધા જોવા મળે છે. આ ૧૨ રાજયોમાં ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, હરિયાણા, ગુજરાત, રાજસ્‍થાન, મધ્‍ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. મહિલાઓને ડાકણ ગણાવી તેમના પર આચરવામાં આવતી હિંસા મામલે સમગ્ર દેશમાં ઝારખંડ સૌથી ટોપ પર છે. મહિલાઓને ડાકણ ગણાવી તેમના પર હુમલો કરવામાં આવે છે, માર મારવામાં આવે છે અને અનેક કિસ્‍સાઓમાં તેમની હત્‍યા પણ કરી દેવામાં આવતી હોય છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‍સ બ્‍યૂરો દ્વારા જાહેર કરાયેલાં ડેટા અનુસાર, વર્ષ ૨૦૧૬થી ૨૦૨૦ દરમિયાન ઝારખંડમાં જ ડાકણ ગણાવી ૯૪ મહિલાઓની હત્‍યા કરી દેવામાં આવી હતી. જે બાદ બીજા નંબરે મધ્‍યપ્રદેશમાં ૭૫ મહિલા તો છત્તીસગઢમાં ૬૯ મહિલાઓની હત્‍યા કરવામાં આવી હતી. NCRBના ડેટા અનુસાર વર્ષ ૨૦૨૦માં ડાકણ હોવાનો આરોપ લગાવી ૧૫ મહિલાઓની હત્‍યા કરી દેવામાં આવી હતી. ઝારખંડ, છત્તીસગઢ, મધ્‍ય પ્રદેશ અને ઓડિશા સહિતના રાજયોમાં જયાં આદિવાસી વસ્‍તીનું પ્રમાણ વધારે છે, તેવા વિસ્‍તારોમાં ૮૮ મહિલાઓની હત્‍યા કરવામાં આવી છે.

ડાકણ હોવાનો આરોપ લગાવી મહિલાઓને ટાર્ગેટ કરવી એ ભારતના જાતિવ્‍યવસ્‍થા અને પૈતૃક વ્‍યવસ્‍થામાં ઊંડે સુધી જોવા મળે છે. અંધશ્રદ્ધામાં પુરુષો દ્વારા મહિલા ડાકણ હોવાનો આરોપ લગાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ ઈન્‍દિરા જયસિંગે એક ઈન્‍ટરવ્‍યૂમાં જણાવ્‍યું હતું કે, હત્‍યા કરવા પાછળ અંધશ્રદ્ધાને મુખ્‍ય કારણ ગણવામાં આવે છે, અને આ ક્રાઈમ દ્યણીવાર લિંગ અને જાતિ ભેદભાવને આધારે તેમજ બદલો લેવા માટે કરવામાં આવતા હોય છે. વૃદ્ધ તેમજ સિંગલ મહિલાઓ કે જેઓ તેમની સંપત્તિમાં એકલાં રહેતા હોય છે, તેમના પર ડાકણ હોવાનો આરોપ લગાવવામાં આવે છે. જેમાં નિઃસંતાન માતાઓ, વિધવા, ડિવોર્સી અને દિવ્‍યાંગ મહિલાઓનો સમાવેશ થાય છે. તેઓ પોતાના બચાવ માટે નિઃસહાય હોવાથી તેમજ તેમના સમર્થનમાં અન્‍ય કોઈ લોકો ન આવતાં ગામના શક્‍તિશાળી લોકો દ્વારા તેમની જમીન અને સંપત્તિને હડપવા માટે ડાકણ હોવાનો આરોપ લગાવવામાં આવે છે.

(10:16 am IST)