Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

રાષ્ટ્રપતિ રજા પર ઊતરી જતાં પાક. કેબિનેટનું શપથ ગ્રહણ ટળ્યું

પાકિસ્તાનમાં નવી સરકારની શપથવીધિ ટલ્લે ચડી ઃ પાકિસ્તાનના ૨૩માં વડાપ્રધાન શહબાઝ શરીફના શપથ ગ્રહણના અમૂક કલાક પહેલા જ રાષ્ટ્રપતિ અલ્વી બીમાર થઈ ગયા

ઈસ્લામાબાદ,તા.૧૯ : પાકિસ્તાનના નવા કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો છે કારણ કે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી જેઓ શપથ અપાવવાના હતા તેઓએ સોમવારે અચાનક રજા પર ઉતરી ગયા હતા. તેમણે કેટલીક તકલીફોને કારણે આ નિર્ણય લીધો છે. પાકિસ્તાનનું નવું કેન્દ્રીય કેબિનેટ મંળવારે અથવા બુધવારે પણ શપથ લઈ શકે છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના ૧૪ મંત્રી અને  પીપીપીના ૧૧ સદસ્ય વડાપ્રધાન શહબાઝ શરીફના કેન્દ્રીય મંત્રીમંડળમાં હશે.

પીએમએલ-એન લીડર મરિયમ ઔરંગઝેબે આ અગાઉ આ પુષ્ટિ કરી હતી. પીએમએલ-એનના નેતાએ કહ્યું કે, સાથી પક્ષો વચ્ચે પરામર્શની આ લાંબી પ્રક્રિયા ચાલી રહી છે ટૂંક સમયમાં તેને અંતિમ સ્વરૃપ આપવામાં આવશે અને જાહેરાત કરવામાં આવશે.આ અગાઉ ડો. અલ્વી દેશના ૨૩માં વડાપ્રધાન શહબાઝ શરીફના શપથ ગ્રહણના અમૂક કલાક પહેલા જ બીમાર થઈ ગયા હતા. હાલમાં ટ્વીટરમાં જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિને અસહજતા અનુભવાઈ રહી છે અને ડોક્ટરે તેમની તપાસ કરી છે. રાષ્ટ્રપતિના ટ્વીટ પ્રમાણે ડોક્ટરે તેમની તપાસ કરી છે અને થોડા દિવસ આરામ કરવા માટે જણાવ્યું છે. ત્યારબાદ આગળની કોઈ પણ જાણકારી આપ્યા વગર રાષ્ટ્રપતિ અલ્વી સોમવારે રજા પર ઉતરી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીના નવા મંત્રીમંડળના સભ્યોને શપથ લેવાનો ઈનકાર કર્યા પછી હવે સેનેટ પ્રમુખ સાદિક સંજરાણી મંગળવારે નવા મંત્રીઓને શપથ ગ્રહણ અપાવશે. મંત્રી મંડળના સદસ્યો સ્થાનિક સમય પ્રમાણે સોમવારે રાત્રે ૮ઃ૩૦ વાગ્યે શપથ ગ્રહણ લેવાના હતા પરંતુ જ્યારે વડાપ્રધાન કાર્યાલયે રાષ્ટ્રપતિ કાર્યાલય સાથે સમ્પર્ક કર્યો તો અલ્વીએ તેમને શપથ ગ્રહણ અપાવવા માટે ઈનકાર કરી દીધો હતો.

(8:01 pm IST)