Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

શ્રીલંકન ટેસ્ટ ક્રિકેટ ટીમના સૌપ્રથમ કેપ્ટન બંદુલા વર્ણાપુરાનું દુઃખદ નિધન

બ્લડ સુગર લેવલ વધી જવાને કારણે તેમનો જમણો પગ કાપી નાખવાની ફરજ પડી હતી

કોલંબો શ્રીલંકન ટેસ્ટ ક્રિકેટ ટીમના સૌપ્રથમ કેપ્ટન બંદુલા વર્ણાપુરાનું સોમવારે અહીંની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 68 વર્ષના હતા. સ્થાનિક અહેવાલ મુજબ આ મહિનામાં જ તેમનું બ્લડ સુગર લેવલ વધી જવાને કારણે તેમનો જમણો પગ કાપી નાખવાની ફરજ પડી હતી. આમ થતાં તેમના શરીરમાં રક્તના પ્રવાહ પર અસર પડી હતી.

બંદુલા વર્ણાપુરા શ્રીલંકાના ઓપનિંગ બેટ્સમેન હતા અને બેટિંગમાં અત્યંત મજબૂત ટેકનિક ધરાવતા હતા. આ ઉપરાંત તેઓ મધ્યમ ઝડપી બોલિંગ પણ કરતા હતા. તેઓ ફેબ્રુઆરી 1982માં ઇંગ્લેન્ડ સામે રમાયેલી શ્રીલંકાની પ્રથમ ટેસ્ટના માત્ર સુકાની જ ન હતા પરંતુ સાથે સાથે શ્રીલંકા માટે સૌપ્રથમ બોલ રમનારા તથા સૌપ્રથમ રન કરનારા બેટ્સમેન પણ હતા. શ્રીલંકા માટે એ ટેસ્ટમાં તેમણે બેટિંગ અને બોલિંગ બંનેનો પ્રારંભ કરીને વિરલ સિદ્ધિ હાંસલ કરી હતી.

1975થી 1982 દરમિયાન બંદુલા વર્ણાપુરા શ્રીલંકા માટે 12 વન-ડે અને ચાર ટેસ્ટ રમ્યા હતા. શ્રીલંકાએ 1975ના વન-ડે વર્લ્ડ કપ સાથે વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કર્યું તે વખતે પણ વર્ણાપુરા ટીમનો હિસ્સો હતા. જોકે 1982-83માં તેમણે બળવાખોર ટીમ સાથે સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો જેને કારણે તેમની ઉપર શ્રીલંકામાં રમવા સામે આજીવન પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. એ સમયે સાઉથ આફ્રિકા પર આઇસીસીએ પ્રતિબંધ લાદેલો હતો અને કોઈ ટીમ કે ખેલાડી સાઉથ આફ્રિકા સામે રમી શકે તેમ ન હતા

(12:57 pm IST)