Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ગાંધી-નહેરુ પરિવાર સિવાયની વ્યક્તિને સુકાની બનાવો : પ્રિયંકા

ઈન્ડિયા ટુમોરો નામના પુસ્તકમાં દાવો કરાયો : પક્ષે આ માટે માર્ગ શોધવો પડશે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલે હોદ્દાથી રાજીનામું આપ્યું હતું

નવી દિલ્હી, તા. ૧૯: કોંગ્રેસ પાર્ટીનું સુકાન ગાંધી-નહેરુ પરિવાર સિવાયની બહારની વ્યક્તિને સોંપવાની તરફેણ પ્રિયંકા ગાંધીએ કરી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની વાતનું સમર્થન કર્યું છે જેમાં રાહુલે જણાવ્યું હતું કે, ગાંધી પરિવારની બહારની વ્યક્તિને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવે. પ્રિયંકાએ જણાવ્યું કે, હવે અમારામાંથી કોઈ પાર્ટી અધ્યક્ષ બનવો જોઈએ નહીં અને હું તેમની સાથે સહમત છું મને લાગે છે કે પાર્ટીએ પોતાનો માર્ગ પણ શોધવો જોઈએ.

આ દાવા 'ઈન્ડિયા ટુમોરો' નામના પુસ્તકમાં કરવામાં આવ્યો છે. પુસ્તકના લેખક પ્રદીપ ચિબ્બર અને હર્ષ શાહે આને ૧૩ ઓગસ્ટના રોજ પ્રકાશિત કરી હતી. પુસ્તકમાં પ્રિયંકા ગાંધી જણાવે છે કે, એક પાર્ટી અધ્યક્ષ ભલે ગાંધી પરિવારમાંથી ના હોય પરંતુ તે તેમનો 'બોસ' હોય. જો પાર્ટી અધ્યક્ષ કાલે મને કહે કે ઉત્તર પ્રદેશમાં હવે તમારી જરૂર નથી પરંતુ અદમાન-નિકોબારમાં છે તો હું ખુશીથી અંદમાન-નિકોબાર જતી રહીશ.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. આ સાથે જ તેમણે પાર્ટીની બેઠકમાં કથિત રીતે ભાર પૂર્વક જણાવ્યું હતું કે હવે કોઈના બહારની વ્યક્તિને અધ્યક્ષ બનાવવામાં આવે. જો કે ગયા વર્ષે ઓગસ્ટમાં સોનિયા ગાંધીને પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

(10:10 pm IST)