Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

કારોનાનાં દરદીઓ માટે લાલ બતી

પગ,હૃદય, કીડની, ફેફસાં અને મગજની ગંભીર સમસ્યા થઇ શકે

નવી દિલ્હી,તા.૨૦ : કોરોનાની ચેપી મહામારીની અસર ધરાવતાં, સાજાં થઇ  ગયેલાં    અને જેમનો રિપોર્ટ  નેગેટિવ આવ્યો  હોય તેવાં   તમામ  દરદીઓએ  સાવધાન રહેવાની જરૂર છે એવી ચેતવણી તબીબી નિષ્ણાતોએ આપી છે.એટલે કે જે દરદીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને સાજાં થઇ ગયાં છે તેઓને પણ જુદી જુદી સમસ્યાઓ થતી હોવાનું જાણવા મળ્યું છે.

તબીબી નિષ્ણાતોએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે કોરોનાના ચેપને કારણે લોકોને થાક લાગવો, હૃદયના ધબકારા અચાનક  વધી  જવા, હૃદયની કામગીરીમાં અવરોધ સર્જાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવવી, સાંધામાં પીડા થવી અને હૃદય, ફેફસાં, કીડની અને મગજને નુકસાન થવું વગેરે લક્ષણો જોવા મળે છે.

બીજીબાજુ  મુંબઇના અમુક નિષ્ણાત તબીબો પુરાવા સાથે કહે છે કે કારોનાના ચેપને કારણે દરદીના પગમાં લોહીની ગાંઠો પણ સર્જાવાનું જોખમ રહે છે.આવી ચિંતાજનક પરિસ્થિતિમાં  ઝડપી અને યોગ્ય સારવાર ન કરાય તો દરદીના પગમાં ગેન્ગ્રીન (પગમાં સડો થવો)થવાનું જોખમ રહે છે.પરિણામે ડોકટરે નાછૂટકે  દરદીનો   એક અથવા બંને પગ કાપવા પડે છે.

મુંબઇની નાયર હોસ્પિટલના ડોકટરો ૬ દરદીઓનાકેસની વિગતો આપતાં કહે છે, આ તમામ ૬ દરદીઓ અજાણતાં કોરોનાના સંક્રમનો ભોગ બન્યા હતાં અને ત્યારબાદ તેઓ બીમારીમાંથી સાજાં પણ થઇ ગયાં હતાં. વળી, આ તમામ દરદીઓમાં કોરોનાનાં કોઇ જ લક્ષણો પણ નહોતાં. આમ છતાં થોડા દિવસો બાદ તેઓને છાતીમાં દુઃખાવો થવો શરૂ થયો હતો.તેમનાં હૃદયને લોહીનો પૂરતો જથ્થો મળતો નહોતો.

મુંબઇના જ એક ડોકટરને કોરોનાનો ચેપ લાગ્યો હતો.પાંચ દિવસ બાદ તે તબીબને પગમાં પીડા થવા લાગી હતી. તે ડોકટરને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.ત્યાં તેમના તબીબી રિપોર્ટમાં એવું જાણવા મળ્યું હતું કે તેમને આર્ટિરિયલ  થ્રોમ્બોએમ્બોલિઝમ(શરીરના કોઇ એક અંગમાં  લોહીની ગાંઠ  થવાથી  રકત પ્રવાહમાં અવરોધ સર્જાય)ની નવી સમસ્યા થઇ છે. સરળ રીતે સમજીએ તો આ પ્રકારની સમસ્યામાં લોહીની ગાંઠો શરીરમાંના રકત પ્રવાહમાં અવરોધ સર્જે  છે.પરિણામે સુક્ષ્મ રકતવાહિનીઓમાં લોહીનો પ્રવાહ   સરળતાથી  વહી શકતો નથી. એટલે દરદીના હાથ,  એક પગ અથવા બંને  પગમાં પીડા થાય છે. દરદીને ચાલવામાં તકલીફ પડે છે.આટલું જનહીં, દરદીનાં અંગોને પણ પૂરતો ઓકિસજન  નથી મળતો.

પેલા  ડોકટરની સારવાર કરનારા નિષ્ણાત તબીબોએ સ્પષ્ટપણે એમ કહ્યું હતું કે આ પ્રકારની સારવારમાં કદાચ પણ વિલંબ થયો હોત તો તેમના બંને પગમાં ગેન્ગ્રીન થવાનું જોખમ સર્જાત અને પરિણામે તેમના બંને પગનું ઓપરેશન કરીને તેમાં કાપકૂપ પણ કરવી પડી હોત.જોકે પેલા દરદી ડોકટર ઉત્ત્।મ પ્રકારની સારવારથી સાજા થઇ ગયા હોવા છતાં તેમણે ઘણી કાળજી રાખવી પડશે.તેમણે લોહી પાતળું કરવા માટેની ટેબ્લેટ લગભગ છ મહિના સુધી લેવી પડશે.સાથોસાથ દરરોજ અમુક ખાસ પ્રકારનીકસરત પણ કરવી પડશે અને નિયમિત રીતે તબીબી પરીક્ષણ પણ કરાવવું પડશે.

મુંબઇના અન્ય તબીબોએ એવી માહિતી પણ આપી હતી કે અમારી પાસે અમુક કેસ એવા પણ આવ્યા છે જેમાં દરદીની પરિસ્થિતિ ખરેખર ગંભીર થઇ ગઇ હોય. સારવાર લેવામાં વિલંબ થયો હોય. પરિણામે અમારે તે દરદીનો એક કે બંને પગ કાપવા પડયા હતા.

ગયા જુલાઇ મહિનાથી શહેરની કે.ઇ.એમ.હોસ્પિટલમાં આ પ્રકારના સાત કેસ આવ્યા હતા.આમાંના ચાર દરદીના એક અથવા બંને પગમાં ગેન્ગ્રીન થઇ ગયું હોવાથી તેમાં કાપકૂન કરવી પડી હતી. કે.ઇ.એમ.હોસ્પિટલના ડીન ડો.હેમંત દેશમુખે જણાવ્યું હતું કે ખરેખર તો તે સાતેય દરદીઓએ તબીબી સારવાર લેવામાં ઘણો વિલંબ કર્યો હતો.તેમના બંને પગમાં ઘણી પીડા પણ થતી હતી.

આવા કિસ્સામાં દરદીના શરીરના નીચેના હિસ્સામાંનાં અંગોમાં લોહીનો પ્રવાહ ઓછો પહોંચે છે. વળી,તે બધાં દરદીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને કફ અને તાવ પણ હતાં. તે દરદીઓના પગના  સિટી એન્જીયોગ્રાફી  ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે  તેમને આર્ટિયલ થ્રોમ્બોસીસની ગંભીર સમસ્યા થઇ હતી.છેવટે તે સાતમાંના ચાર દરદીઓને પગમાં ગેન્ગ્રીન થઇ ગયું હોવાથી તેમના પગનું પણ ઓપરેશન કરીને તેમાં કાપકૂપ કરવી પડી હતી.આટલુંજ નહીં,એક દરદીનું તો સમય જતાં મૃત્યુ પણ થયું હતું.

મુંબઇની નાયર હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના(હૃદય રોગની સારવારનો વિભાગ) તબીબોએ એવી માહિતી આપી હતી કે  અમારી પાસે ૬  દરદીઓ આવ્યા હતા.તે તમામ ૬ દરદીઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને યોગ્ય સારવારથી સાજા પણ થઇ ગયા હતા.હવે  કારોનાની બીમારીમાંથી સાજા થઇ ગયેલા દરદીઓને પણ હૃદયની કોઇ સમસ્યા થાય છે કે કેમ તેનું અમે નિરીક્ષણ કરી રહ્યા છીએ.

(11:55 am IST)