Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

કોવિડ-૧૯ વેકસીનના ૫૦ લાખ ડોઝ ખરીદાશે

દેશમાં ભલે વેકસીન તૈયાર થઇ ન હોય પણ સરકારે કરી તૈયાર

નવી દિલ્હી,તા.૨૧ : ભારત સરકાર કોરોના વિરુદ્ઘ આગળના મોરચે લડી રહેલા કર્મચારીઓ, સેનાના જવાનો અને કેટલાક વિશિષ્ટ શ્રેણીના લોકો માટે કોવિડ-૧૯ની રસીના ૫૦ લાખ ડોઝ ખરીદવા પર વિચાર કરી રહી છે. વેકસીનને મંજૂરી મળ્યા બાદ તેને ઉપલબ્ધ કરાવવા માટેની પ્રાથમિકતાને લઇને સરકાર હાલ વિચાર વિમર્શ કરી રહી છે. જેમાં ફોકસ સપ્યાલ ચેન અને વિતરણ પર છે. આ માટે સૌથી પહેલા કોરોના વોરિયર્સ અને જેમના પર સૌથી વધુ જોખમ છે તેવા લોકોને વેકસીન પહેલા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટેની રૂપરેખા પણ ઘડવામાં આવી રહી છે.

સરકાર મોટા પાયે વેકસીનનું વિતરણ કરવા માગે છે. જેનાથી જલ્દીથી જલ્દી વધુથી વધુ લોકો સુધી તે પહોંચી શકે. સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે સ્થાનિક વેકસીન નિર્માતાએ સરકાર પાસેથી એક નિશ્ચિત માર્કેટનું અનુમાન જણાવવા કહ્યું છે કેમ કે એકવાર વેકસીન તૈયાર થઈ ગયા પછી પહેલી બેચ ગણતરીના દિવસોમાં તૈયાર થઈ જશે. કંપનીઓને વેકસીનની ડિમાન્ડને લઈને આશ્વસ્ત કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે એક વેકસીન આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં તૈયાર થઈ જશે.

મોટા વેકસીન નિર્માતાઓ સાથે સોમવારે બેઠક દરમિયાન કોવિડ વેકસીનને લઈને નિષ્ણાંતોના સમૂહોએ કંપનીઓને પોતાના પ્રસ્તાવ મૂકવા કહ્યું છે જેમાં તેમની ઉત્પાદન ક્ષમતા, કિંમત અને સરકાર તેમને કઈ રીતે મદદરૂપ થઈ શકે તે બાબતે સૂચનો આપવા માટે કહ્યું છે. આ સમૂહના અધ્યક્ષ નીતિ આયોગના સદસ્ય વીકે પોલ અને આરોગ્ય સચીવ રાજેશ ભૂષણ છે.

એક સ્થાનિક વેકસીન નિર્માતા કંપનીના વરિષ્ઠ કાર્યકારી અધિકારીએ કહ્યું કે 'વેકસીનના વિકાસમાં મોટી રકમનું રોકાણ કરવામાં આવ્યું છે અને આપણે આપણી ક્ષમતા કોવિડ-૧૯ વેકસીનના ઉત્પાદનમાં વધારવામાં લગાવવી પડશે. તેવા સમયે સરકારે હવે એક નિશ્ચિત માર્કેટ કેટલું રહેશે તેવો સંકેત જરૂર આપવો જોઈએ.'

તેમણે વધુમાં કહ્યું કે, 'નિષ્ણાંતોની ટીમ સાથે મળીને તમામ વિકલ્પો પર વિચાર કરી રહી છે. જેમાં જરૂરિયાત પડતા વેકસીનના ઉત્પાદન માટે નાણાંકીય સહાયતા પણ સામેલ છે. જોકે ચર્ચા હજુ શરૂઆતી ચરણમાં છે અને કોઈ પ્લાન પર પહોંચતા પહેલા કમિટી હજુ કેટલીક બેઠક કરી શકે છે.'

વેકસીન ઉપ્તાદન કંપનીઓની પસંદગી પર વેકસીન પર ટોચની સલાહકાર સંસ્થા national technical advisory group on immunization (ntagi)ની સ્ટેન્ડિંગ કમિટીએ ટેકિનકલ સબ કમિટીથી સૂચનો મંગાવ્યા છે.

આ સમયે ભારતમાં ત્રણ વેકસીનનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. ભારત બાયોટેક-ICMR દ્વારા બનાવવામાં આવેલ Covaxin, ઝાયડસ કેડિલાની ZyCov-D હાલ ફેઝ વન અને ટુમાં છે. આ ઉપરાંત સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાની અસ્ત્રાજેનેકા સાથે AZD1222 વેકસીનની ટ્રાયલ માટે ડીલ થઈ ચૂકી છે. સરકારી પેનલ જે વેકસીનને કેન્ડિડેટ્સ પર નજર રાખીને બેઠા છે તે Oxford-AstraZeneca અને Moderna ફેઝ ૩ના ટ્રાયલમાં છે.

આ ઉપરાંત જર્મની અને ઇઝરાયેલ સહિત દુનિયાના નવ વેકસીન પ્રોગ્રામ પર પણ ભારત સરકાર નજર રાખી રહી છે. સોમવારે જયારે નેશનલ એકસપર્ટ્સ ગ્રુપ ઓન વેકસીન એડમિનિસ્ટ્રેશનની બેઠક મળી તો તેમાં SII, ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલા ઉપરાંત અનેક ફાર્મા કંપનીઓના પ્રમુખો સામેલ હતા.

(11:35 am IST)