Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

સરકાર માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતર-રોજગાર આપે

સંયુક્ત ખેડૂત સંગઠનો આંદોલન ચાલુ રાખશે : કૃષિ કાયદા રદ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદથી જ ખેડૂત સંગઠનો બેઠક પર બેઠક કરી રહ્યા છે, તેઓ અન્ય મુદ્દાઓ સાથે આંદોલન ચાલુ રાખશે

નવી દિલ્હી, તા.૨૧ : શુક્રવાર, ૧૯ નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત સાથે લાંબા સમયથી દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને ખતમ કરવાનો રસ્તો સાફ કર્યો હતો. પરંતુ તેમની જાહેરાત બાદથી જ દિલ્હીની સરહદો પર ડેરો જમાવી બેઠલા ખેડૂત સંગઠનોએ બેઠકો શરું કરી દીધી હતી. કેન્દ્ર દ્વારા અમલમાં લાવેલા ૩ નવા કૃષિ કાયદાઓેને રદ કરવાની માંગ સાથે પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતીય રાજ્યોના ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી હતી. તેમણે દિલ્હીની સરહદો પર જ રહીને વિરોધ પ્રદર્શન શરુ કર્યા હતા. જોકે લાંબા સમય બાદ પીએમ મોદીએ તેમની માંગને સ્વીકારી કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી હતી. જે પછી ખેડૂત સંગઠનો પણ આગળની રણનીતિ માટે બેઠક પર બેઠક યોજી રહ્યા હતા. હાલમાં બેઠક બાદ ખેડૂતોના નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે, કેન્દ્રએ સારો નિર્ણય લીધો છે અને અ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. પરંતુ હજુ પણ કેટલાક મુદ્દા છે જે બાકી છે.

              તેમણે જણાવ્યું કે, અમે પીએમ મોદીને આ સંબંધે ઓપન લેટર લખીશું. જેમાં ખેડૂતોની અન્ય માંગનો ઉલ્લેખ કરવામાં આવશે. આ મુદ્દાઓમાં એમએસપી સમિતિ, એના અધિકાર, સમય મર્યાદા, વિજળી બિલ ૨૦૨૦ સામેલ કરવામાં આવશે. દિલ્હીની બોર્ડર પર રહેલા ખેડૂત સંગઠનના નેતા રાજેવાલે કહ્યું કે, અમે કૃષિ કાયદાઓને રદ કરવાની ચર્ચા કરી. જે પછી કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. અમે અન્ય માંગ સાથે આંદોલન ચાલુ રાખીશું અને આગળના ઘટનાક્રમ માટે ૨૭ નવેમ્બર બેઠક યોજી રણનીતિ તૈયાર કરીશું. આ પહેલા શનિવારે સંયુક્ત ખેડૂત સંગઠનોએ જણાવ્યું કે, સંગઠને નક્કી કરેલા કાર્યકમો ચાલુ રહેશે. આ સાથે કૃષિ કાયદા સામે આંદોલન શરું કરવાને એક વર્ષ પૂરુ થવા પર અન્ય ખેડૂતોને પ્રદર્શન સ્થળ પર આવવા માટે અપીલ કરી હતી. આ સિવાય તેમનું કહેવુ છે કે ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના બલિદાનનો મોદી સરકાર સ્વીકાર કરે અને તેમના પરિવાને વળતર તેમજ રોજગારની તક આપી સમર્થન આપે. તેઓ સંસદ સત્રમાં શ્રદ્ધાંજલિના હકદાર છે અને એમના નામ પર સ્મારકક બનવું જોઇએ. ખેડૂત સંગઠને એવું એલાન પણ કર્યું છે કે, સંસ સત્ર દરમિયાન રોજ ૫૦૦ પ્રદર્શનકારી ખેડૂત ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે સંસદ સુધી શાંતિપૂર્ણ માર્ચ કરશે.

(7:13 pm IST)