Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ઘાસચારા કૌભાંડ : ઝારખંડ હાઇકોર્ટેમાં લાલુ પ્રસાદ યાદવના જામીન મંજુર : સીબીઆઈ કોર્ટે પાંચ વર્ષની જેલ અને 60 લાખનો દંડ ફટકાર્યો હતો : અડધી સજા ભોગવ્યા બાદ હવે ચારા કૌભાંડના તમામ પાંચ કેસમાં જામીન મળી ગયા છે : હાલમાં બીમાર છે અને દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી હોવાથી સ્વાસ્થ્યના કારણોસર જામીન માંગ્યા હતા

બિહાર : રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા તથા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. તેમને ઘાસચારા કૌભાંડ સંબંધિત ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં જામીન આપવામાં આવ્યા છે. લાલુને આ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે 21 ફેબ્રુઆરીએ પાંચ વર્ષની સજા સંભળાવી હતી.

હાઈકોર્ટના જસ્ટિસ અપરેશ કુમાર સિંહની કોર્ટે લાલુ પ્રસાદની જામીન અરજી સ્વીકારી લીધી છે. લાલુ પ્રસાદે દંડ તરીકે દસ લાખ રૂપિયા જમા કરાવવા પડશે. ચારા કૌભાંડના ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદને પાંચ વર્ષની જેલ અને 60 લાખનો દંડ ફટકાર્યો હતો. આ સાથે લાલુને હવે ચારા કૌભાંડના તમામ કેસમાં જામીન મળી ગયા છે.

પૂર્વ મુખ્યમંત્રી પર ઘાસચારા કૌભાંડના પાંચ કેસ નોંધાયા હતા અને તમામમાં તેમને સજા થઈ છે. સજા સામે લાલુ પ્રસાદે હાઈકોર્ટમાં અપીલ સાથે જામીન અરજી દાખલ કરી હતી. લાલુ પ્રસાદે અડધી સજા ભોગવ્યા બાદ અને સ્વાસ્થ્યના કારણોસર જામીન માંગ્યા હતા. લાલુ પ્રસાદ હાલમાં બીમાર છે અને દિલ્હીની AIIMSમાં તેમની સારવાર ચાલી રહી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(12:52 pm IST)