News of Friday, 22nd April 2022
નવી દિલ્હી, તા.૨૨: બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોન્સને આજે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન બંને દેશોના - વડાપ્રધાનોએ સંરક્ષણ, રાજકીય અને આર્થિક ભાગીદારીની ચર્ચા કરી, સાથોસાથ અનેક કરાર ઉપર સહી-સિક્કા કર્યા હતાં. વાટાઘાટાનો હેતુ બંને દેશોની ભાગીદારીને મજબુત કરવા અને સુરક્ષા વધારવાનો છે. પીએમ મોદીએ કહ્યુ હતું કે આ વર્ષના અંત સુધીમાં ભારત-બ્રિટન મુકત વ્યાપાર સમજુતીને પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન બે દિવસીય ભારતની મુલાકાતે છે. જોન્સન શુક્રવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ હતી. આ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બેઠક બાદ પીએમ મોદી અને બોરિસ જોન્સને પત્રકારોને સંબોધિત કર્યા હતા.
મોદીએ કહ્યું કે ગયા વર્ષે અમે બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરી હતી. અમે આ દાયકામાં અમારા સંબંધોને માર્ગદર્શન આપવા માટે મહત્વાકાંક્ષી રોડમેપ ૨૦૩૦ પણ લોન્ચ કર્યો છે. આજે અમે આ રોડમેપની પણ સમીક્ષા કરી અને ભવિષ્ય માટે લક્ષ્યો નક્કી કર્યા. અમે આ વર્ષના અંત સુધીમાં જ્વ્ખ્ બંધ કરવા માટે તમામ પ્રયાસો કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક મહિનામાં ભારતે શ્ખ્ચ્ અને ઓસ્ટ્રેલિયા સાથે મુક્ત વેપાર કરાર કર્યા છે. સમાન ગતિ અને પ્રતિબદ્ધતા સાથે, અમે યુકે સાથે પણ FTA સાથે આગળ વધવા માંગીએ છીએ.
અમે ભારતમાં ચાલી રહેલા વ્યાપક સુધારાઓ, અમારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણ યોજના અને નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન વિશે પણ ચર્ચા કરી. અમે યુકેની કંપનીઓ દ્વારા ભારતમાં વધતા રોકાણને આવકારીએ છીએ. ગુજરાતના હાલોલમાં ગઈ કાલે તેનું એક મોટું ઉદાહરણ જોવા મળ્યું.
આજે અમે અમારી આબોહવા અને ઊર્જા ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો નિર્ણય લીધો છે. અમે યુકેને ભારતના નેશનલ હાઈડ્રોજન મિશનમાં જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ. આજે આપણી વચ્ચે ગ્લોબલ ઈનોવેશન પાર્ટનરશિપના અમલીકરણ માટેની વ્યવસ્થાનું નિષ્કર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે. આ હેઠળ, ભારત અને યુકે ત્રીજા દેશોમાં મેડ ઈન ઈન્ડિયા ઈનોવેશનના ટ્રાન્સફર અને સ્કેલિંગ-અપ માટે $૧૦૦ મિલિયન સુધીનું સહ-ધિરાણ કરશે.
મોદીએ કહ્યું કે અમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને મુક્ત, ખુલ્લા, સમાવેશી અને નિયમો આધારિત વ્યવસ્થાના આધારે જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. ઈન્ડો-પેસિફિક મહાસાગર પહેલમાં જોડાવાના યુકેના નિર્ણયનું ભારત સ્વાગત કરે છે.
બંને નેતાઓએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે પણ ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું કે અમે યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને સમસ્યાના નિરાકરણ માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર મૂક્યો છે. અમે તમામ દેશોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વના આદરના મહત્વનો પણ પુનરોચ્ચાર કર્યો. આ ઉપરાંત, અમે શાંતિપૂર્ણ, સ્થિર અને સુરક્ષિત અફઘાનિસ્તાન અને સર્વસમાવેશક અને પ્રતિનિધિ સરકાર માટે અમારા સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. અફઘાન જમીનનો ઉપયોગ અન્ય દેશોમાં આતંકવાદ ફેલાવવા માટે ન થાય તે જરૂરી છે.
બ્રિટિશ પીએમે કહ્યું કે આજે અમારી વચ્ચે અદ્વુત વાતચીત થઈ અને અમે અમારા સંબંધોને દરેક રીતે મજબૂત કર્યા છે. ભારત અને યુકે વચ્ચેની ભાગીદારી આપણા સમયની નિર્ધારિત મિત્રતાઓમાંની એક છે. શ્ધ્ નોકરશાહી ઘટાડવા અને સંરક્ષણ પ્રાપ્તિ માટે ડિલિવરીનો સમય ઘટાડવા માટે ભારત-વિશિષ્ટ ઓપન જનરલ એક્સપોર્ટ લાઇસન્સ બનાવી રહ્યું છે.
તેમણે કહ્યું કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત રાખવામાં બંને દેશોનું સમાન હિત છે. બંને દેશો હવાઈ, અવકાશ અને દરિયાઈ ખતરાનો સામનો કરવા સંમત થયા છે. અમે ટકાઉ, ઘરેલુ ઉર્જા તરફ આગળ વધીશું. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા છે.
જણાવી દઈએ કે બ્રિટિશ પીએમ ગુરુવારે અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ શુક્રવારે સવારે રાજધાની દિલ્હી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન પહોંચતા પીએમ મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન તેણે પત્રકારોને કહ્યું, અદભૂત સ્વાગત માટે તમારો આભાર. મને નથી લાગતું કે વસ્તુઓ અમારી વચ્ચે ક્યારેય એટલી મજબૂત અથવા સારી રહી છે જેટલી તે હવે છે. આ પછી જોન્સને રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી