News of Friday, 22nd April 2022
દિલ્હી :ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસના ‘G23’ નેતાઓ સાથે મંથન કર્યું હતું, જેમાં તેઓનો અભિપ્રાય હતો કે જો રાહુલ ગાંધીને વડા પ્રધાનપદનો ચહેરો બનાવવો હોય તો ગાંધી પરિવારન સિવાય અન્ય કોઈને પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કરવા જોઇએ. કિશોરે છેલ્લા કેટલાક દિવસોમાં કોંગ્રેસ નેતૃત્વ અને વરિષ્ઠ નેતાઓ સાથે ઘણી બેઠકો કરી છે અને પાર્ટીને પુનર્જીવિત કરવા માટે તેમના તરફથી ઘણા સૂચનો પણ આપ્યા છે, જેની પર સોનિયા ગાંધી દ્વારા રચાયેલી સમિતિ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે કિશોરે પાછલા કેટલાક મહિનામાં ગાંધી પરિવાર સિવાય અન્ય પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકો કરી હતી અને આ બેઠકોનું ધ્યાન કોંગ્રેસને મજબૂત કરવા અને આગામી લોકસભા ચૂંટણીમાં મોદીને હરાવવાની વ્યૂહરચના ઘડવાનું હતું. આ જ ક્રમમાં, તેઓ તાજેતરના મહિનાઓમાં કોંગ્રેસના અસંતુષ્ટ ‘G23’ જૂથના કેટલાક નેતાઓને પણ મળ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ‘G23’ ના સભ્ય, જેમણે ત્રણ મહિના પહેલા કિશોર સાથે લાંબી મુલાકાત કરી હતી, તેમણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “પીકે મારી પાસે આવ્યા હતા અને લગભગ ત્રણ કલાક બેઠા હતા. તે બેઠકથી ખૂબ જ ખુશ હતા. તેમને મળ્યા પછી મને લાગ્યું કે તેઓ વડાપ્રધાન મોદીને હરાવવા માંગે છે અને તે અંગે ગંભીર પણ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું, “પીકેએ મારી સાથેની બેઠકમાં કોંગ્રેસમાં પરિવર્તન, વિપક્ષી એકતા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. તેમનું સ્પષ્ટ કહેવું છે કે કોંગ્રેસ અને વિપક્ષના હાલના સ્વરૂપથી નરેન્દ્ર મોદીજીને હરાવી શકાય તેમ નથી, પ્રમુખ પદની કમાન અન્ય કોઈને સોંપવી પડશે, બંને જવાબદારીઓ એક જ વ્યક્તિ સંભાળી શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે આ વાત તેમણે પોતે રાહુલ ગાંધીને કહી હતી.
કિશોરના કોંગ્રેસમાં જોડાવાના કારણે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓને સાઈડલાઈન થવાનું જોખમ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે, “વરિષ્ઠ અને યુવા, બધાએ મળીને પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરવું પડશે.” જો કોઈ વ્યક્તિએ 30-40 વર્ષથી પાર્ટી માટે કામ કર્યું હોય, તો તેને અચાનક કાઢી ન શકાય.” આ અંગે કિશોરે એક અંગ્રેજી દૈનિક સાથેની વાતચીતમાં કહ્યું કે, આ જૂની વાત છે. તાજેતરની ચર્ચા સાથે તેને કોઈ લેવાદેવા નથી.
આ રજૂઆતમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે કોંગ્રેસને મજબૂત કરવા માટે નેતૃત્વના મુદ્દાને ઉકેલવા, ગઠબંધનના મુદ્દાને ઉકેલવા, પાર્ટીને તેના જૂના મૂલ્યો પર પાછા લાવવા, પાયાના સ્તરે કાર્યકરોની ફોજ તૈયાર કરવી જરૂરી છે. મીડિયા વ્યૂહરચના સિસ્ટમ પણ બદલવી જોઈએ. કિશોર દ્વારા કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ કરાયેલા સૂચનોને ધ્યાનમાં લેવા કોંગ્રેસ દ્વારા તાજેતરમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ ટૂંક સમયમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનો રિપોર્ટ સોંપશે. આ પછી કિશોરના કોંગ્રેસમાં જોડાવું કે પછી તેની આગળની ભૂમિકા અંગે નિર્ણય લેવામાં આવશે.