Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

સૌરાષ્ટ્ર-અમદાવાદ સુધી થશે અસર કચ્છમાં ફરી ત્રાટકી શકે છે મોટો ભૂકંપ

સંશોધકોનું કહેવું છે કે જયારે ધરતીકંપ આવશે તો તેની ખૂબ જ ભયાનક અસર કચ્છમાં જોવા મળશેઃ ખાસ કરીને ગાંધીધામ અને અંજારમાં

અમદાવાદ, તા.૨૨: કચ્છ યુનિવર્સિટીના સંશોધકો અને ગાંધીનગરમાં આવેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, ધ કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ(KMF), ધરતીના પેટાળમાં આવેલી આ ફોલ્ટ લાઈન ખૂબ જ મોટી ઇસ્ટ-વેસ્ટ ટ્રેન્ડિંગ ફોલ્ટ લાઇન છે, આશરે ૧૦૦૦ વર્ષોથી સુષુપ્ત અવસ્થામાં હતી. જોકે હવે તેમાં સ્ટ્રેસનું નિર્માણ થતા આ ફોલ્ટ લાઈન ભૂકંપ લાવી શકે છે. આ ફોલ્ટ લાઈન જમીના પેટાળમાં લખપતથી લઈને ભચાઉ એમ ૧૫૦ કિમી જેટલી લાંબી છે.

ગત મહિને અરેબિયન જર્નલ ઓફ જિયોસાયન્સમાં આ અંગેનો અભ્યાસ લેખ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું છે કે ભૂતકાળમાં પણ આશરે ૫૬૦૦થી ૧૦૦૦ BP(Before present) વર્ષ પહેલા અહીં ૪ જેટલા ખૂબ જ મોટા ભૂકંપ આવ્યા હતા BP એક કાલગણના માપવા માટેની પદ્ઘતી છે જેના આધારે ઘટના કયારે બની હતી તેની ગણના કરવામાં આવે છે. ભુસ્તરશાસ્ત્રીઓ દ્વારા આ પદ્ઘતીમાં રેડિયોકાર્બન ડેટિંગ ટેકનોલોજીનો ૧૯૫૦માં ઉદ્બવ થયો તે પહેલાના સમયને BP કહેવામાં આવે છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

સંશોધકોનું કહેવું છે કે જયારે ધરતીકંપ આવશે તો તેની ખૂબ જ ભયાનક અસર કચ્છમાં જોવા મળશે. ખાસ કરીને ગાંધીધામ અને અંજારમાં, તેમજ સૌરાષ્ટ્ર અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ તેની ગંભીર અસર જોવા મળી શકે છે.

કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરોમેન્ટ સાયન્સ વિભાગના હેડ પ્રોફેસર એમ.જી. ઠક્કરે કહ્યું કે 'ધરતીના પેટાળમાં ભારતીય પ્લેટમાં કાયમી હિલચાલ જોવા મળતી હોય છે. ત્યારે ઘણીવાર અંદરનું દબાણ અને ઉર્જા કચ્છના નાજૂક ક્રસ્ટ દ્વારા બહાર નીકળે છે. કચ્છના પેટાળમાં ૪ મોટી ફોલ્ટ લાઈન છે. જેના કારણે અહીં ઘણીવાર ભૂકંપ આવ્યા છે. વૈજ્ઞાનિકો માટે એ ખરેખર ચેલેન્જિંગ કામ છે કે કયારે ભૂકંપ આવશે તેની આગાહી કરવી.'

આ શોધ અભ્યાસમાં પ્રો. ઠક્કર પણ મુખ્ય સંશોધકો પૈકી એક છે. જેમાં કચ્છ યુનિવર્સિટીના જ વૈજ્ઞાનિકો રાજ સુનિલ કુન્દ્રેગુલા અને ગૌરવ ચૌહાણ પણ સામેલ હતા. આ સંશોધન અભ્યાસ કેન્દ્રિય અર્થ સાયન્સ મંત્રાલય દ્વારા જુદા જુદા ભુસ્તરશાસ્ત્રીઓને આપવામાં આવેલા અને છેલ્લા ૧૦ વર્ષથી ચાલતા અભ્યાસનો એક ભાગ છે. વૈજ્ઞાનિકોએ આ ૧૦ વર્ષમાં ભારતીય પ્લેટની હિલચાલ અને ફોલ્ટ લાઈનનો અભ્યાસ કરીને હિમાલયન અને કચ્છ વિસ્તારમાં ભૂકંપની દ્રષ્ટીએ સંવેદનશિલ અને એકિટવ ઝોનની ઓળખ કરી છે.

પ્રો. ઠક્કરે કહ્યું કે, 'KMF ફોલ્ટ લાઈન છેલ્લા ૧૦૦૦ વર્ષથી સુષુપ્ત હતી. પરંતુ આટલા વર્ષોથી તેના પર દબાણ કરતા સ્ટ્રેસથી તે ફરી એકિટવ થઈને ભૂકંપ લાવી શકે છે.' મહત્વનું છે કે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં કચ્છમાં વિનાશ વેરનાર ભૂકંપ જે ભૂકંપ આવ્યો હતો તે સાઉથ વાગડ ફોલ્ટ લાઇન દ્વારા સ્ટ્રેસ રીલિઝ કરવાના કારણે આવ્યો હતો. તો તાજેતરમાં ૧૬ જુલાઈએ રાજકોટ અને ૧૫ જૂને અમદાવાદમાં જે ભૂકંપના આંચકા અનુભવાયા તેને આ ફોલ્ટ લાઈન સાથે કંઈ લાગતું વળગતું નથી. ઠક્કર મુજબ કચ્છમાં આવેલ સેંકડો ભૂકંપે કચ્છના ભૂસ્તરને ખૂબ જ સંવેદનશીલ અને નબળું બનાવી દીધું છે. જે સમગ્ર પશ્યિમ ભારતમાં સૌથી વધુ નબળું ભુસ્તર છે.

વૈજ્ઞાનિકોએ આ અભ્યાસ માટે ઈસરો દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલ કાર્ટોસેટ ઉપગ્રહનો ઉપયોગકર્યો હતો. જેના દ્વારા કચ્છના આ નિશ્ચિત વિસ્તારોમાં ભૂતકાળમાં આવેલા ભૂકંપના રહી ગયેલા નિશાન ધરતીના પેટાળામાંથી શોધીને તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના આધારે નિશ્ચિત થયેલી જગ્યાએથી જમીન અંદરના સ્તરને સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને તેનો રડિયોકાર્બન અભ્યાસ પણ કરવામાં આવ્યો છે.

(11:10 am IST)