Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

અમેરિકાનું તારણ : ભારત મુંઝવણમાં

કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરપી ફાયદાકારક નથી

FDA દ્વારા દર્દીઓને અપાતી પ્લાઝમા થેરપી અટકાવી દેવાનો આદેશ કરાયો : ભારતમાં હજુ ICMRના અભ્યાસનું પરિણામ આવવાનું બાકી

નવી દિલ્હી તા. ૨૨ : અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કોરોનાની ટ્રીટમેન્ટ માટે વપરાતી પ્લાઝમા થેરપીને અટકાવી દેવા આદેશ કર્યો છે. FDAનો દાવો છે કે પ્લાઝમા થેરપીનો જે ડેટા અત્યારસુધી એકત્ર કરાયો છે, તેમાં જણાય છે કે આ થેરપી ખાસ અસરકારક નથી. અમેરિકાના આ નિર્ણયથી ભારત જેવા પ્લાઝમા થેરપી પર જોર આપી રહેલા દેશ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ એથિકસના એડિટર અમર જેસાણીએ જણાવ્યું હતું કે કોઈપણ થેરપીની અસરકારકતા કિલનિકલ રિસર્ચ દ્વારા પ્રસ્થાપિત થાય છે. જો કે અત્યારસુધી પ્લાઝમા થેરપી અંગેના આવા કોઈ પુરાવા પ્રાપ્ત થયા નથી.

ભારતમાં તો ઘણા રાજયો ના માત્ર પ્લાઝમા થેરપીને પ્રોત્સાહન આપી રહ્યા છે, પરંતુ પ્લાઝમા બેંક પણ સ્થાપી રહ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણા જેવા રાજયમાં ડોકટર્સ કોરોનાના મધ્યમ કક્ષાના લક્ષણો ધરાવતા દર્દીઓને પ્લાઝમા થેરપી પ્રિસ્ક્રાઈબ કરી રહ્યા છે. પ્લાઝમા થેરપીની સુરક્ષિતતા અને અસરકારતા ચકાસવા માટે ICMR દ્વારા એપ્રિલમાં રેન્ડમ સર્વે પણ હાથ ધરાયો હતો.

ICMR દ્વારા પ્લાઝમા થેરપીની અસરકારતા અંગેના કોઈ ચોક્કસ પરિણામ હજુ સુધી જાહેર નથી કરાયા. જો કે તેના પ્રાથમિક પરિણામથી પરિચિત સૂત્રોનું માનીએ તો તેનો કોઈ ખાસ ફાયદો જોવા નથી મળ્યો. પ્લાઝમા થેરપીથી ભલે કોઈ દેખીતો ફાયદો કદાચ ના થતો હોય, પરંતુ તેનાથી કોઈ નુકસાન પણ નથી થતું. આ જ આધાર પર ICMR દ્વારા પ્લાઝમા થેરપીની જે ભલામણ કરવામાં આવે છે. જો કે તેના બદલે તેના પર સાયન્ટિફિક સ્ટડી કરી જો તેનો કોઈ ફાયદો ના હોય તો તેની રેકમેન્ડેશન ના કરવી જોઈએ તેમ એક એકસપર્ટે જણાવ્યું હતું.

ICMRના એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર, પ્લાઝમા થેરપી પર હજુ અભ્યાસ ચાલી રહ્યો છે, અને તે પૂર્ણ થયા બાદ તેના પરિણામ જાહેર કરાશે. આ અભ્યાસમાં ૪૫૨ સેમ્પલનું પરિક્ષણ કરાઈ રહ્યું છે. આ અભ્યાસ છેક એપ્રિલ મહિનાથી શરુ થયો છે, પરંતુ તેનું પરિણામ હજુય બહાર ના પડાતા એકસપર્ટ્સ પણ આશ્યર્ય અનુભવી રહ્યા છે.

(11:18 am IST)