Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

રાજ્યો વચ્ચેની આંતરિક ગતિવિધિને રોકવા સામે

રાજ્યોએ પોતાની રીતે નિયમો બનાવતાં કેન્દ્ર નારાજ : આ પ્રકારના પ્રતિબંધોને કારણે માલસામાનની હેરફેર પર અસર પડી રહી છે અને લોકોને પરેશાની થાય છે

નવી દિલ્હી, તા. ૨૨ : કેન્દ્રીય ગૃહ સચિવે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચિઠ્ઠી લખીને કહ્યું છે કે અનલોક-૩ની ગાઈડલાઈન પ્રમાણે કોરોના વાયરસ લોકડાઉનમાં રાહતો આપવામાં આવેલી છે અને ઈન્ટર સ્ટેટ મૂવમેન્ટ માટે તેમાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લાગુ કરાયેલો નથી. રાજ્યોમાં બે શહેરોની વચ્ચેની ગતિવિધિ પણ ચાલુ રહેવી જોઈએ એમ તેમણે કહ્યું છે. સચિવ કહ્યું છે કે સામાનની હેરફેર માટે આ મહત્વનું કદમ છે.

પત્રમાં કહેવાયું છે તેમને મળેલા રિપોર્ટ પ્રમાણે કેટલાંય રાજ્યમાં જિલ્લા સત્તાવાળાઓએ સંખ્યાબંધ પ્રતિબંધો લાગુ કરેલા છે અને સામાનની હેરફેર અટકાવી રહ્યા છે. પત્રમાં કહ્યું છે કે આ પ્રકારના પ્રતિબંધોને કારણે માલસામાનની હેરફેર પર અસર પડી રહી છે અને લોકોને આવશ્યક ચીજવસ્તુઓથી વંચિત રહેવું પડે છે. તેના કારણે ઘણાં લોકોની નોકરી પર જોખમ સર્જાયું હોવાનું પણ તેમાં લખ્યું છે.

ગાઈડલાઈનના પાંચમા પેરાનો સંદર્ભ આપીને હોમ સેક્રેટરી અજયકુમાર ભલ્લાએ રાજ્ય સરકારોને સાવધ કરતાં કહ્યું છે કે આ રીતે સતત પ્રતિબંધો લાગુ કરશો તો તમારી એ હરકતને કેન્દ્ર સરકારના આદેશના ભંગ સમાન લેખવામાં આવશે.

તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ પ્રતિબંધો તાત્કાલિક હટાવવા માટે વિનંતી કરી છે અને ગૃહ મંત્રાલયની ગાઈડલાઈનને અનુસરવા માટે કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને કારણે સરકારે પ્રારંભમાં બે મહિના સુધી રાજ્યો રાજ્યો વચ્ચેની ગતિવિધિ અટકાવી દીધી હતી. મે મહિનાના પ્રથમ સપ્તાહથી લોકડાઉન ફાઈવની ગાઈડલાઈન અન્વ્યે તેને તબક્કાવાર ફરી સ્થાપિત કરવામાં આવી હતી.

રાજ્યો રાજ્યો વચ્ચે ફરી વેપાર અને સામાનની હેરફેર ફરી શરૂ થવાને કારણે રસ્તો ઉપર અરાજકતાનો માહોલ ઊભો થયો હતો કેમકે, ટ્રક ઓપરેટરોને નિયમોની સ્પષ્ટ જાણકારી નહોતી અને અધિકારીઓ પાસે યોગ્ય માર્ગદર્શન નહોતું તેને કારણે આમ થયું હતું.

(9:28 pm IST)