Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૬૯ હજાર કેસોનો ઉછાળો

અત્યાર સુધી ૩.૪ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાનો દાવો : સમયસર આઈસોલેશન, અસરકારક ટ્રેકિંગ, ક્લિનિકલ સારવાર વગેરે બાબતોને પગલે રિકવરી રેટમાં સુધારો

નવી દિલ્હી, તા. ૨૨ : ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૯,૦૨૮ કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધી ૨૯.૭૩ લાખ કેસ આવી ચુક્યા છે. જેમાંથી ૨૨.૨૦ લાખ સાજા થઈ ચુક્યા છે. ૬.૯૬ લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે ૫૫ હજાર ૯૨૬ લોકોના મોત થયા છે. રેકોર્ડ ૬૨ હજાર ૮૫૮ દર્દી સાજા થયા અને ૯૫૩ લોકોના મોત થયા છે. રોજ આવી રહેલા કેસનો આંકડો ૭૦ હજારની આસપાસ છે. છેલ્લા ૧૫ દિવસથી દર બે દિવસમાં એક લાખથી વધુ દર્દી સાજા થઈ રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના ટેસ્ટિંગમાં પણ જેટ ગતિએ વધારો થયો છે. આ સાથે જ અત્યાર સુધીમાં દેશમાં કુલ ૩.૪ કરોડ કોરોના ટેસ્ટ હાથ ધરાયા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય જણાવ્યુ હતું.  રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો હોવાથી દેશમાં એક દિવસમાં દસ લાખ કોરોના ટેસ્ટનો આંકડો હાંસલ થયો છે.

               વધુ ટેસ્ટ કરવાથી પોઝિટિવ દરમાં પણ વધારો થાય છે અને સમયસર આઈસોલેશન, અસરકારક ટ્રેકિંગ, સમયસર ક્લિનિકલ સારવાર વગેરે બાબતોને પગલે રિકવરી રેટમાં પણ સુધારો થઈ શકે છે તેમ મંત્રાલયે ઉમેર્યું હતું. શુક્રવારે ૧૦,૨૩,૮૩૬ ટેસ્ટ થયા હતા જે પૈકી ૩.૮ લાખ રેપિડ એન્ટિજેન ટેસ્ટ રહ્યા હતા. કોરોના કાળના પ્રારંભથી અત્યાર સુધીમાં દેશમાં કુલ ૩,૪૪,૯૧,૦૭૩ કેસ થયા હતા જે પૈકી ૨૮ ટકા સેમ્પલ રેપિડ એન્ટિજેન દ્વારા લેવાયા હતા. આરોગ્ય મંત્રાલયના મતે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૦ લાખથી વધુ કોરોના ટેસ્ટ થયા હતા. દૈનિક ૧૦ લાખથી વધુ કોરોના ટેસ્ટના આંકડાને સફળતાપૂર્વક પાર કરાયો છે. અદ્યતન લેબોરેટરી માળખાને પગલે પણ ટેસ્ટના પરિણામ ઝડપી બન્યા છે. દેશાં હાલમાં ૧,૫૧૧ લેબ કાર્યરત છે જે પૈકી ૯૮૩ સરકારી ક્ષેત્રે છે અને ૫૨૮ ખાનગી લેબ આવેલી છે. વિતેલા ૨૪ કલાકમાં દેશમાં ૬૯,૮૭૪ કેસનો વધારો નોંધાતા કુલ કોરોના સંક્રમિત લોકોનો આંકડો ૨૯,૭૫,૭૦૧ થયો હતો. એક દિવસમાં વધુ ૯૪૫ના મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક ૫૫,૭૯૪ રહ્યો હતો.

(9:36 pm IST)