Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

કેન્‍દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત દરિયાઇ માર્ગે જહાજ પરિવાહનને પ્રોત્‍સાહન માટે સતત કાર્યરતઃ હવે ખાનગી ઓપરેટરોને રૂટોની પસંદગી કરવા પ્રોત્‍સાહન અપાશેઃ મનસુખભાઇ માંડવિયા

ગાંધીનગર: કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે (MOPSW) તાજેતરમાં હજીરા અને ઘોઘા વચ્ચે રોપેક્સ જહાજ ફેરી સર્વિસ શરૂ કરીને આ પ્રકારની ફેરી રૂટ પૈકીના એક રૂટનો સફળતાપૂર્વક અમલ કર્યો છે.

આ ફેરી સેવાથી ઘોઘા અને હઝીરા વચ્ચેનું 370 કિલોમીટરનું અંતર ઘટીને 90 કિલોમીટર થયું છે. તેમજ પ્રવાસનો સમય 10થી 12 કલાકથી ઘટીને આશરે 5 કલાક થયો છે, પરિણામ સ્વરૂપે દરરોજ અંદાજે 9,000 લીટર ઇંધણની મોટા પાયે બચત થશે. આ વ્યાવસાયિક મોડલની સફળતાનું પુનરાવર્તન કરવા MoPSW હવે ખાનગી ઓપરેટરને આ રૂટોની પસંદગી કરવા પ્રોત્સાહન આપે છે, જે દરિયાઈ/આંતરિક જળમાર્ગ દ્વારા પરિવહનના પૂરક અને ટકાઉ પદ્ધતિને પ્રોત્સાહન આપીને સ્થાનિક માગને આધારે રો-રો, રો-પેક્સ ફેરી સેવા શરૂ કરવાની સંભવિતતા પૂરી પાડે છે.

કેન્દ્રીય શિપિંગ, કેમિકલ્સ અને જળ પરિવહન મંત્રાલયના રાજયકક્ષાના મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW)એ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત દરિયાઈ માર્ગે જહાજ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સતત કામગીરી કરી છે. સાગરમાલા કાર્યક્રમ મંત્રાલયનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ છે. એનો ઉદ્દેશ ભારતના 7,500 કિલોમીટર લાંબા દરિયાકિનારાનો ઉપયોગ કરી અને સંભવિત જળમાર્ગોનો લાભ લઈને દેશમાં બંદર સંચાલિત વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

MoPSW એ હઝીરા, ઓખા, સોમનાથ મંદિર, દિવ, પિપાવાવ, દહેજ, મુંબઈ/જેએનપીટી, જામનગર, કોચી, ઘોઘા, ગોવા, મુન્દ્રા અને માંડવી જેવા સ્થાન બંદરોની પસંદગી કરી છે તથા ચટ્ટોગ્રામ (બાંગ્લાદેશ), સેશીલ્સ (પૂર્વ આફ્રિકા), મડાગાસ્કર (પૂર્વ આફ્રિકા) અને જાફના (શ્રીલંકા) એમ 4 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડવા ભારતીય મુખ્ય દરિયાઈ શહેરોમાંથી 6 આંતરરાષ્ટ્રીય રુટની પસંદગી કરી છે, જેનો આશય દરિયાકિનારે સ્થિત ભારતના મુખ્ય શહેરોમાંથી આંતરિક જળમાર્ગ દ્વારા ફેરી સેવાઓની શરૂઆત કરવાનો છે.

સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (SDCL) દ્વારા MoPSW સમગ્ર દેશમાં વિવિધ રુટો પર રો-રો, રો-પેક્સ અને ફેરી સેવાઓનું સંચાલન કરવા કંપનીઓને સુવિધા આપવાનો છે તથા પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય બનાવવા જરૂરી ટેકો પ્રદાન કરવાનો છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (એસપીવી ) માળખામાં, જો જરૂર પડે તો, પ્રોજેક્ટને ઇક્વિટી પ્રદાન કરીને પહેલને ટેકો આપશે તથા ખાનગી ઓપરેટર(ર્સ)ને અન્ય સહાય અને સુવિધાઓ પ્રદાન કરશે, જેમાં વિવિધ મંજૂરીઓ મેળવવાની તથા નિયમનકારી અને કાયદેસર સરકારી સંસ્થાઓમાંથી મંજૂરીઓ અને સંમતિઓ મેળવવાની કામગીરી સામેલ છે.

  • ઉદ્દેશો શું છે

1) પરિવહનની પૂરક પદ્ધતિ ઊભી કરવી, જે દરરોજ અવરજવર કરતાં લોકો, પ્રવાસીઓની અવરજવર અને કાર્ગો પરિવહન માટે લાભદાયક હોવાની સાથે રેલ અને રોડમાંથી પરિવહનની પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ તરફ અગ્રેસર થઈને કાર્બનનું ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ પણ છે.

2) પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો

3) દરિયાકિનારાના વિસ્તારોમાં રોજગારીની તકોનું સર્જન કરવાનો

4) વપરાશકર્તાઓ માટે ખર્ચ અને સમય એમ બંનેની બચત કરવાનો

5) રોડ અને રેલ નેટવર્ક પર ગીચતા ઘટાડવાનો

(4:40 pm IST)