Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

આર્થિક સંકટમાં ડૂબેલું પાકિસ્‍તાન હવે ખરેખર અંધકારમાં ડૂબી ગયું

ઇસ્‍લામાબાદથી કરાચી - લાહોર સુધી સવારથી જ બ્‍લેકઆઉટ - વિજળી ગુલ : દેશ પહેલેથી જ વીજળી, ખાદ્ય અને ઇંધણની કટોકટી જેવી અનેક સમસ્‍યાઓથી ઘેરાયેલો છે

ઈસ્‍લામાબાદ તા. ૨૩ : આર્થિક સંકટમાં ડૂબેલું પાકિસ્‍તાન હવે ખરેખર અંધકારમાં ડૂબી ગયું છે. દેશમાં પહેલા લોટ પૂરો થયો, પછી ગેસ અને પેટ્રોલનું સંકટ આવ્‍યું અને હવે વીજળીનો વારો છે. સમાચાર આવી રહ્યા છે કે સોમવારે સવારથી પાકિસ્‍તાનનો મોટો હિસ્‍સો અંધારામાં ડૂબી ગયો છે. ક્‍વેટા અને ગુડ્ડુ વચ્‍ચે હાઈ-ટેન્‍શન ટ્રાન્‍સમિશન લાઈનમાં ખામીને કારણે આજે દેશના વિવિધ ભાગોમાં પાવર નિષ્‍ફળતા આવી. પાકિસ્‍તાન પહેલાથી જ વીજળીની અછત અને લાંબા કાપનો સામનો કરી રહ્યું છે. વીજળી બચાવવા માટે સરકારે ૮ વાગ્‍યે બજારો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.

પાકિસ્‍તાની ન્‍યૂઝ વેબસાઈટ ‘દુનિયા ન્‍યૂઝ' અનુસાર, ક્‍વેટા, ઈસ્‍લામાબાદ, લાહોર, મુલતાન ક્ષેત્રના શહેરો અને કરાચી જેવા અનેક જિલ્લાઓ સહિત બલૂચિસ્‍તાનના ૨૨ જિલ્લાઓમાં પાવર કટ થઈ ગયો છે. લાહોરમાં મોલ રોડ, કેનાલ રોડ અને અન્‍ય વિસ્‍તારોમાં લોકો પાવર કટના સંકટનો સામનો કરી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, ટ્રાન્‍સમિશન લાઈનમાં ટેક્‍નિકલ ખામીને કારણે સિંધ, ખૈબર પખ્‍તુનખ્‍વા, પંજાબ અને રાજધાનીમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે નેશનલ ગ્રીડમાં સવારે ૭.૩૪ કલાકે ગરબડની જાણ થઈ હતી. વીજ પુરવઠો પુનઃસ્‍થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. વીજળી ડૂલ થવાના કારણે મેટ્રો સેવા પણ પ્રભાવિત થઈ છે, જેના કારણે મુસાફરોને મુશ્‍કેલી પડી રહી છે. ઈસ્‍લામાબાદ ઈલેક્‍ટ્રિસિટી સપ્‍લાય કંપનીના ૧૧૭ ગ્રીડ સ્‍ટેશનનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, જેના કારણે આખું શહેર અને રાવલપિંડી અંધકારમાં ડૂબી ગયું હતું. સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે પાવર પરત આવતા કેટલાક કલાકો લાગી શકે છે.

પાકિસ્‍તાનના વિવિધ વિસ્‍તારોમાંથી લોકો સોશિયલ મીડિયા પર પાવર ફેલ થવાની માહિતી આપી રહ્યા છે. અંધકારમાં ડૂબેલું પાકિસ્‍તાન પહેલેથી જ અનેક મુશ્‍કેલીઓના ઘેરા અંધકારમાં ડૂબી ગયું છે. દેશમાં ઘઉંનો પાક નાશ પામ્‍યા બાદ લોટ ઘણો મોંઘો થઈ ગયો છે. લોકો માત્ર લોટ જ નહીં પરંતુ કઠોળ અને તેલ પણ ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વીજ પુરવઠાની સ્‍થિતિ ઘણા મહિનાઓથી ખરાબ છે. પાકિસ્‍તાન સરકારે લાંબો વીજ કાપ ટાળવા અને વીજળીની અછતને પહોંચી વળવા બજારોને રાત્રે ૮ વાગ્‍યે બંધ કરવાનો આદેશ આપ્‍યો છે.

(11:58 am IST)