Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

બેંકમાંથી મોટી રોકડ રકમ ઉપાડનાર પર ITની નજર

નોટીસ આપી ખુલાસો પૂછાશે : ક્‍યા કારણોસર રોકડ ઉપાડી તેની જાણ નહીં કરનાર સામે કાર્યવાહી : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના લીધે બેંકમાંથી મોટી રકમના ઉપાડ : રાજ્‍યભરમાં આવકવેરા વિભાગ મોટી રકમના બેંકિંગ ટ્રાન્‍ઝેકશન પર મોનિટરીંગ

નવી દિલ્‍હી તા. ૨૩ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના લીધે બેંકમાંથી મોટી રકમના ઉપાડ, જમીનની ખરીદી, વેચાણ અને ઓનલાઇન મોટી રકમના ટ્રાન્‍ઝેક્‍શન સહિત તમામ મોટા આર્થિક વ્‍યવહારો આવકવેરા વિભાગના રડાર પર છે. વિભાગ દ્વારા બેંકિંગ સિસ્‍ટમથી આ માહિતીઓ મેળવી વેરિફિકેશનની કાર્યવાહી કરવામાં આવે છે. બેંકમાંથી રૂપિયાનો ઉપાડ ચૂંટણીમાં મતદાતાઓને વહેંચવા માટે તો નથી કરવામાં આવ્‍યો તેવું વિભાગ જાણવા માંગે છે.

આવકવેરા વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ચૂંટણી જાહેર થવાની સાથે જ રાજયમાં આચારસંહિતા લાગુ પડી ગઇ છે. પોલીસતંત્ર, આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ સહિતની એજન્‍સીઓ ૫૦ હજારથી વધુ રોકડ અને જવેલરીની હેરફેર પર વોચ રાખી રહ્યા છે ત્‍યારે આવકવેરા વિભાગે બેંકિંગ સિસ્‍ટમ પર પણ વોચ રાખી છે. ચૂંટણી દરમિયાન મતદાતાઓને લાલચ આપવા માટે રોકડ પણ વહેંચવામાં આવે છે ત્‍યારે મોટી રકમના ઉપાડ પર અધિકારીઓની નજર છે. આવકવેરા વિભાગ બેંકિંગ સિસ્‍ટમથી મોટી રકમ ઉપાડનારાઓની માહિતી મેળવી તેઓની પૂછપરછ કરે છે અને જો સંબંધિત વ્‍યક્‍તિ યોગ્‍ય કારણ નહીં આપી શકે તો વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે છે. આ રીતે જ જમીન ખરીદી-વેચાણના સોદાઓ પર પણ આવકવેરા વિભાગની નજર છે. આ અંગે વિભાગ દ્વારા હાલમાં જ કેટલાક કેસોમાં વેરિફિકેશન કાર્યવાહી પણ કરવામાં આવી છે. સુરત સહિત રાજયભરમાં આવકવેરા વિભાગ મોટી રકમના બંકિંગ ટ્રાન્‍ઝેક્‍શન પર મોનિટરિંગ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આચારસંહિતા લાગુ થયા બાદ અત્‍યાર સુધી આવકવેરા વિભાગ દ્વારા ૩.૩૦ કરોડ રૂપિયા અને જવેલરી જપ્ત કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જો આ અંગે માલિકો યોગ્‍ય ખુલાસો નહી કરી શકે તો તમામ રકમ અને જવેલરી સરકારી તિજોરીમાં જમા થઇ જશે.

(10:41 am IST)