Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

કોઈને કોરોના થશે છતાં ભારત- દ.આફ્રિકા મેચ ચાલુ રહેશે

ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર : પોઝિટિવ ખેલાડી કે સભ્યને આઈસોલેશનમાં મોકલાશે

કેપટાઉન, તા.૨૨ : હાલ ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે. અને ૨૬ ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થશે.ઓમિક્રોનને કારણે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચોમાં સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી આપવામાં આવશે નહીં. અને હવે નવી વિગતો સામે આવી છે કે, સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન જો કોઈપણ ખેલાડી કે સ્ટાફના સભ્યને કોરોના આવ્યો હશે, તેમ છતાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ ચાલુ રહેશે, અને જે-તે કોરોના પોઝિટિવ ખેલાડી કે સભ્યને આઈસોલેશનમાં મોકલી દેવામાં આવશે.
ક્રિકેટ સાઉથ આફ્રિકાના મેડિકલ ઓફિરસ શુઐબ મંજરાએ જણાવ્યું હતું કે, બીસીસીઆઈ અને ક્રિકેટ સાઉથ આફ્રિકા બંને એ બાબતે સહમત થયા છે કે, બે ટીમો વચ્ચે શરૂ થનાર ટેસ્ટ અને વન-ડે મેચ દરમિયાન જો કોઈ ખેલાડી કે સપોર્ટ સ્ટાફમાં કોરોનાનો કેસ આવ્યો હશે, તેમ છતાં તેના નજીકના સંપર્કમાં આવેલાં લોકોને જબરદસ્તી આઈસોલેશનમાં મોકલવામાં આવશે નહીં.
સાઉથ આફ્રિકામાં મળી આવેલ ઓમિક્રોન વેરિયન્ટને કારણે પરિસ્થિતિ ખરાબ થયા બાદ શું બીસીસીઆઈ દ્વારા સાઉથ આફ્રિકાનો પ્રવાસ રદ કરી દેવામાં આવશે તે મામલે કોઈ કરાર થયા છે કેમ, તે અંગે જાણકારી આપતાં ક્રિકેટ સાઉથ આફ્રિકાના સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યારે પ્રવાસ રદ કરવા મામલે કોઈ ચર્ચા કરવામાં આવી નથી.
સાઉથ આફ્રિકાના મેડિકલ ઓફિસર મંજરાએ પીટીઆઈ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમે ભારત સાથે ચર્ચા કરીને પ્રોટોકોલ અંગે મંજૂરી આપી છે. ઈકો સિસ્ટમની અંદર જેટલાં પણ માણસો હશે તેઓ રસી લઈ લીધી હશે તેમ માની, જો કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો હશે અને તેનું સ્થિતિ સારી હશે તો, તે વ્યક્તિને હોટેલ રૂમમાં આઈસોલેટ કરવામાં આવશે. આ ઉપરાંત તેઓના સંપર્કમાં આવેલાં લોકો કોઈપણ મેડિકલ દેખરેખ વગર રમી અને ટ્રેનિંગ કરી શકશે અને તેઓના દરરોજ ટેસ્ટ કરવામાં આવશે.
એ સમજી શકાય છે કે, રેપિડ એન્ટિજન ટેસ્ટ રોજ કરવામાં આવશે અને આ માટે બંને ટીમ તૈયાર છે કે કોરોના પોઝિટિવ કેસ આવશે. પણ જ્યાં સુધી અગમચેતીના વ્યવસ્થિત પગલાં લેવામાં આવશે ત્યાં સુધી સીરિઝ ચાલુ રહેશે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યારે તમામ લોકો બાયો બબલમાં છે અને સમયાંતરે તેઓના ટેસ્ટ થઈ રહ્યા છે. અગાઉના સમયમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે, એક ખેલાડી કે સપોર્ટ સ્ટાફ પોઝિટિવ પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલાં લોકોનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવવા છતાં પણ તેઓને ફરજિયાત આઈસોલેશનમાં મોકલી દેવામાં આવતા હતા. જેને કારણે મેચ ચાલુ રાખવી અશક્ય થઈ જતી હતી.
ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસની વાત કરીએ તો, ૩ ટેસ્ટ મેચોની સીરિઝ માટે ૨૬ ડિસેમ્બરથી સેન્ચુરિયન ખાતે પ્રથમ ટેસ્ટ રમાશે, ત્યારબાદ ૩ જાન્યુઆરીથી ૭ જાન્યુઆરી દરમિયાન જોહાનિસબર્ગમાં બીજી ટેસ્ટ મેચ રમાશે અને ૧૧ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી દરમિયાન કેપટાઉનમાં ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. ટેસ્ટ મેચની સીરિઝ ખતમ થયા બાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ૩ વન-ડે મેચોની સીરિઝ પણ રમાશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન-ડે મેચ ૧૯, ૨૧ અને ૨૩ જાન્યુઆરીના રોજ રમાશે.

 

(12:00 am IST)