Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

રોડ અકસ્માતમાં ઘાયલોની મદદ કરવાથી મળશે હજારોનું ઈનામ

લોકોની મદદ કરવા માટે સુપ્રીમ કોર્ટે સેવ લાઈફ ફાઉન્ડેશનની જાહેરહિતની અરજી હેઠળ માર્ચ ૨૦૧૬માં નોટિફિકેશન જાહેર કરીને ગૂડ સેમેરિટન લો લાગૂ કર્યો હતો

નવી દિલ્હી, તા.૨૪: રોડ અકસ્માતમાં ઘાયલોને બચાવવા માટે તેઓને યોગ્ય સમયે હોસ્પિટલ લઈ જવા જરૂરી છે. સમયસર ઘાયલોને હોસ્પિટલ લઈ જનારા લોકોને કેટલાક રાજયોમાં ઈનામ આપવામાં આવે છે. પરંતુ આ વાતની જાણકારી બહુ ઓછા લોકોને છે. તાજેતરમાં જ નોઈડાના ડીસીપી ગણેશ પ્રસાદ સાહાએ જાહેરાત કરી કે, રોડ અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લાવનારા લોકોને રૂપિયા ૫૦૦૦નું ઈનામ મળશે.

આ પહેલાં કેન્દ્ર સરકારે પણ એક રકમ ઈનામ તરીકે નક્કી કરી હતી. જે મુજબ રોડ અકસ્માતમાં ઘાયલોની મદદ કરનારા લોકોને રૂપિયા ૨૦૦૦ના ઈનામની રકમ નક્કી કરવામાં આવી હતી. એ પછી ઈનામની આ રાશિમાં ગયા વર્ષે ઓકટોબરમાં ફેરફાર કરવામાં આવ્યો. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેસ દ્વારા ફેરફાર કરીને રકમ ૫૦૦૦ નક્કી કરવામાં આવી. આ આદેશ ૩૧ મે ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

ડીસીપીએ જણાવ્યું કે, જિલ્લામાં રોડ અકસ્મતાની દ્યટનાઓમાં જાનહાનિ રોકવા અને રસ્તાની સુરક્ષામાં સુધારો કરવાના હેતુથી આ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં અંદાજે ૪૬૦૦ દુર્ઘટનાઓમાં ૨૦૦૦થી પણ વધુ લોકોનાં મોત થયા છે.

દેશમાં રોજે રોજ અનેક અકસ્માત સર્જાય છે. આવી દ્યટનામાં કેટલાંક લોકો સમયસૂચકતા વાપરીને દ્યાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈને આવે છે. તો કેટલાંક લોકો વિચારે છે કે પોલીસની ઝંઝટમાં કોણ પડે.

આવી ઝંઝટમાંથી છૂટકારો મેળવવા અને લોકોની મદદ કરવા માટે સુપ્રીમ કોર્ટે સેવ લાઈફ ફાઉન્ડેશનની જાહેરહિતની અરજી હેઠળ માર્ચ ૨૦૧૬માં નોટિફિકેશન જાહેર કરીને ગૂડ સેમેરિટન લો લાગૂ કર્યો હતો.

આ એકટ હેઠળ અકસ્માત દરમિયાન ઘાયલોની કોઈ દ્વારા મદદ કરવામાં આવે તો કોઈ પણ એજન્સી તેમની પૂછપરછ કે સાક્ષીના નામે હેરાન નહીં કરે. આ એકટ મુજબ, ધર્મ, રાષ્ટ્રીયતા, જાતિ કે લિંગના આધાર પર કોઈ પણ ભેદભાવ વગર સન્માનપૂર્વક વ્યવહાર કરવામાં આવશે.

(9:56 am IST)