Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

દેશમાં ઓમિક્રોનના કેસનો આંક ૩૦૦ને પાર : સંક્રમણની ગતિ વધી

ઓમિક્રોનના કેસમાં એક જ દિવસની અંદર દેશમાં ૮૦થી વધુનો ઉછાળો નોંધાયો : સૌથી વધારે ઓમિક્રોન સંક્રમિત કેસોમાં મહારાષ્ટ્ર ટોપ પર, બીજા નંબરે દિલ્હી : ગુજરાતમાં લાંબા સમય પછી ૨૪ કલાકની અંદર ૧૦૦થી વધારે કોરોના સંક્રમિત નોંધાયા : કોરોના આપણી વચ્ચે હોય જ નહી તેવી સ્થિતિ બજારો અને હરવા-ફરવાના સ્થળો પર જોવા મળી રહી છે

નવી દિલ્હી તા. ૨૪ : દેશમાં સતત વધતા ઓમિક્રોન કેસના આંક હવે વધારે ડરાવી રહ્યા છે. એક તરફ કોરોનાના કેસમાં ઘટાડો થતા લોકો ઘરમાંથી નીકળ્યા બાદ એ રીતે ફરતા દેખાય છે કે જાણે તેમની વચ્ચે હવે કોરોના રહ્યો જ નથી. પરંતુ દેશમાં ઓમિક્રોનના કેસની શરૂઆત થયા બાદ હવે આંકડો ૩૦૦ને પાર થઈ ગયો છે. એક જ દિવસની અંદર નવા ૮૪ ઓમિક્રોનના કેસ નોંધાયા છે. આ પહેલા મંગળવારે એક જ દિવસમાં ઓમિક્રોનના સૌથી વધારે ૪૪ કેસ નોંધાયા હતા. નવા ૮૪ કેસના વધારા સાથે ભારતમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા ૩૪૧ પર પહોંચી ગઈ છે.

નવા નોંધાયેલા ઓમિક્રોનના કેસમાં સૌથી વધારે ગુરૂવારે ૩૩ કેસ તામિલનાડુમાં નોંધાયા છે, જયારે મહારાષ્ટ્રમાં નવા ૨૩ કેસ અને કર્ણાટકમાં ૧૨ લોકો સંક્રમિત થયા છે. ગુજરાત અને દિલ્હીમાં ૭-૭ લોકો ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. જયારે ઓડિશામાં બે લોકો નવા વેરિયન્ટથી સંક્રમિત થયા છે.

ઓમિક્રોનના કુલ ૮૮ કેસ સાથે મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી ખરાબ છે, આ પછી દિલ્હી ૬૪ કેસ સાથે બીજા નંબર પર છે. જે બાદ તેલંગાણા ૩૮ કેસ સાથે ત્રીજા સ્થાને છે. તામિલનાડુ કે જયાં બુધવાર સવાર સુધી માત્ર એક જ કેસ હતો અને તે પછી ૩૪ ઓમિક્રોન પોઝિટિવ સાથે તે સૌથી વધુ પ્રભાવિત રાજયોમાં ચોથા નંબર પર છે.

મહારાષ્ટ્રમાં એક દિવસ આખો ખાલી ગયા બાદ બીજા દિવસે એક સાથે ૨૩ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૭ દર્દીઓમાં કોઈ લક્ષણો નથી દેખાયા જયારે ૬ દર્દીઓમાં સામાન્ય લક્ષણો દેખાયા છે. નવા ૨૩ કેસમાંથી ૧૮ વર્ષથી નાની ઉંમરના ૪ દર્દીઓ છે, નવા સંક્રમિતોમાં ૧૩ પુણે જીલ્લાના અને ૫ મુંબઈના, ૨ ઓસ્માનાબાદ અને એક -એક થાણે, નાગપુર અને મીરા-ભાંઈદરના છે. આ ૨૩જ્રાક્નત્નદ્મક ૧૮ એવા છે કે જેમણે રસીના બન્ને ડોઝ લીધા છે.

કર્ણાટકમાં વધુ ૧૨ કેસ નોંધાતા રાજયના કુલ કેસની સંખ્યા ૩૧ થઈ ગઈ છે. જેમાંથી ૧૦ દર્દીઓ બેંગ્લુરુના છે.

ગુજરાતમાં ઘણાં લાંબા સમય પછી એક જ દિવસમાં કોરોનાના ૧૦૦થી વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે રાજયમાં ૧૧૧ કેસ નોંધાયા છે અને ૨ દર્દીઓના મોત થયા છે. ગુરુવારે નોંધાયેલા કેસમાં સૌથી વધારે અમદાવાદમાં ૪૩ કેસ નોંધાયા છે. જે પછી બીજા અને ત્રીજા નંબરે અનુક્રમે સુરત (૧૮) અને વડોદરા (૧૧) આવે છે. ૨૪ કલાકમાં રાજયમાં ૭૮ લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. નવા રજૂ થયેલા આંકડા પ્રમાણે રાજયમાં એકિટવ કેસનો આંક ૬૬૮ પર પહોંચી ગયો છે.

(10:34 am IST)