Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

કર્ણાટકમાં હિજાબ બાદ હવે બાઈબલ પર મહાભારત! : બળજબરીથી બાળકોને ભણાવવાનો આરોપ

ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, હિન્દુ જનજાગૃતિ સમિતિના રાજ્ય પ્રવક્તા મોહન ગૌડાએ દાવો કર્યો છે કે શાળા બિન-ખ્રિસ્તી વિદ્યાર્થીઓને બાઇબલ વાંચવા માટે દબાણ કરી રહી છે

બેંગ્લોર : કર્ણાટકમાં હિજાબ પહેરવાને લઈને શરૂ થયેલા વિવાદ બાદ હવે ખ્રિસ્તીઓના પવિત્ર ધર્મગ્રંથ બાઈબલને લઈને નવું યુદ્ધ શરૂ થઈ ગયું છે. હિંદુ સંગઠનોનો દાવો છે કે બેંગ્લોરની એક શાળા બાળકોના માતા-પિતા પાસેથી વચન લઈ રહી છે કે તેઓ તેમના બાળકને બાઈબલ સાથે શાળાએ મોકલશે. આ ઘટના બાદ કર્ણાટકમાં ફરી એકવાર નવો હંગામો શરૂ થયો છે. હિંદુ સંગઠનોનો એવો પણ આરોપ છે કે શાળા પ્રશાસન બિન-ખ્રિસ્તી વિદ્યાર્થીઓને બાઇબલ વાંચવા દબાણ કરી રહ્યું છે.

આ મામલો કર્ણાટકના બેંગ્લોરની ક્લેરેન્સ હાઈસ્કૂલ સાથે સંબંધિત છે. જાણવા મળ્યું છે કે શાળામાં ભણતા બાળકોના વાલીઓ પાસેથી બાંયધરી લેવામાં આવી રહી છે કે તેઓ તેમના બાળકો દ્વારા શાળાના પરિસરમાં પવિત્ર પુસ્તક બાઈબલ લેવા સામે કોઈ વાંધો નહીં લે. હિંદુ સંગઠનોએ શાળાની નવી માર્ગદર્શિકા સામે વાંધો ઉઠાવ્યો છે. તેને કર્ણાટક એજ્યુકેશન એક્ટનું ઉલ્લંઘન કહેવામાં આવ્યું છે.

ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, હિન્દુ જનજાગૃતિ સમિતિના રાજ્ય પ્રવક્તા મોહન ગૌડાએ દાવો કર્યો છે કે શાળા બિન-ખ્રિસ્તી વિદ્યાર્થીઓને બાઇબલ વાંચવા માટે દબાણ કરી રહી છે. જૂથે દાવો કર્યો હતો કે શાળામાં બિન-ખ્રિસ્તી વિદ્યાર્થીઓ પણ છે જેઓ શાળામાં અભ્યાસ કરે છે અને તેમને બાઇબલ વાંચવાની ફરજ પાડવામાં આવે છે. જો કે, શાળા પ્રશાસને પોતાનો બચાવ કરતાં કહ્યું છે કે તેઓ બાઈબલ આધારિત શિક્ષણ આપે છે.

માહિતી અનુસાર, શાળામાં પ્રવેશ માટેના અરજી ફોર્મ પર સીરીયલ નંબર 11 લખેલું છે કે, "તમે પુષ્ટિ કરો છો કે તમારું બાળક તેની પોતાની નૈતિક અને આધ્યાત્મિક સુખાકારી માટે મોર્નિંગ એસેમ્બલી સ્ક્રિપ્ચર ક્લાસ અને ક્લબ અને બાઇબલ સહિત તમામ વર્ગોમાં હાજરી આપશે અને બાઇબલ લઈ જવામાં વાંધો નહીં ઉઠાવે."

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કર્ણાટક સરકારે શાળાઓમાં ભગવદ ગીતા રજૂ કરવાની યોજના જાહેર કરી હતી. મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાને સામેલ કરવાનો નિર્ણય ચર્ચા પછી લેવામાં આવશે. અગાઉ 17 માર્ચે, ગુજરાત સરકારે 6 થી 12 ના ધોરણ માટે શાળાના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો હતો.

(5:10 pm IST)