Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

હવે આમિરખાનના ત્રીજા લગ્નને લઇને કોમેડિયન કપિલ શર્માના શોમાં ભારે ચર્ચા

સોશ્‍યલ મીડિયામાં વાયરલ પ્રોમો લોકોને ખૂબ જ હસાવે છે

મુંબઇઃ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર આમિર ખાન તેની પ્રોફેશનલ લાઇફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. આમિર ખાને સૌથી પહેલા રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો પણ છે. રીના દત્તાથી અલગ થઈ આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કર્યા. ત્યાર પછી કિરણ રાવ સાથેના સંબંધોનો પણ અંત આવ્યો. અને હવે આમિર ખાનના ત્રીજા લગ્નને લઈને ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચા કોમેડિયન કપિલ શર્માના શોમાં થઈ હતી.

તાજેતરમાં જ આમિર ખાન કોમેડિયન કપિલ શર્માના ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં પહોંચ્યો હતો. આ એપિસોડ દરમિયાન કપિલ શર્માએ આમિર ખાનને તેના ત્રીજા લગ્નને લઈને પ્રશ્ન કર્યો હતો. આ પહેલીવાર છે જ્યારે આમિર ખાન કપિલના શોમાં ગયો હોય. આ એપિસોડમાં કપિલ શર્મા અને તેની ટીમે આમિર ખાન સાથે ખૂબ મસ્તી કરી હતી.

શો દરમિયાન કપિલ શર્માએ આમિર ખાનની સાથે જોરદાર મસ્તી કરી હતી. મસ્તી કરતાં કરતાં જ કપિલ શર્માએ આમિર ખાનને પૂછી લીધું કે હવે તમને નથી લાગતું કે તમારે સેટલ થઈ જવું જોઈએ ? આ પ્રશ્નના જવાબમાં આમિર ખાને કંઈ કહ્યું નહીં પરંતુ તે હસવા લાગ્યો. આ શોનો પ્રોમો Instagram પર શેર કરવામાં આવ્યો છે. આ પ્રોમોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આ એપિસોડ દરમિયાન કપિલ શર્મા આમિર ખાનને એવું પણ પૂછે છે કે તે એવોર્ડ ફંક્શનમાં શા માટે નથી જતો. તો આમિર ખાન જવાબ આપે છે કે સમય બહુ જ કિમતી હોય છે અને તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ. ટુંકમાં આમિર ખાન એવોર્ડ ફંકશનને સમય આપવા જેટલા મહત્વના નથી માનતો.

આમિર ખાને વર્ષ 1986 માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને દીકરો જુનેદ અને દીકરી આયરા છે. રીના દત્તા અને આમિર ખાનના ડિવોર્સ 2002માં થયા. ત્યાર પછી આમીર ખાને વર્ષ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા. આ બંનેનો એક દીકરો આઝાદ છે. આમિર ખાન અને કિરણ રાવના લગ્ન પણ 2021 માં તૂટી ગયા અને બંને અલગ થઈ ગયા.

(4:53 pm IST)