Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં ચમરસીમાએ પહોંચી શકે

કોરોનાની ત્રીજી લહેરને લઈને લોકોમાં ભયનો માહોલ : રિસર્ચ રિપોર્ટ તૈયાર કરવા ભારતમાં આવેલી કોરોનાની પહેલી-બીજી લહેરના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો

હૈદરાબાદ, તા.૨૪ : આઈઆઈટીકાનપુરના સંશોધકોની આગાહી અનુસાર કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં શરુ થઈ શકે છે અને શક્ય છે કે નવો ઓમિક્રોન વેરિયન્ટ આ લહેર માટેનું કારણ બને. ઓનલાઈન પ્રી-પ્રિન્ટ સર્વ મેડરિક્સવીમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો કોરોનાની ત્રીજી લહેર વિષ અનુમાન લગાવવામા આવે તો દુનિયાભરમા અત્યારે જે બની રહ્યું છે તેને જોતાં આ રિપોર્ટમાં ધારણા કરવામાં આવે છે કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ડિસેમ્બરમાં શરુ થઈ શકે છે અને ફેબ્રુઆરીની શરુઆતમાં તે ચરમસીમાએ પહોંચશે.

ભારતમા કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવા માટે સંશોધકોની ટીમે ગૌસિયન મિટ્યુર મોડેલ તરીકે ઓળખતા એક ટૂલનો ઉપયોગ કર્યો હતો. આ રિસર્ચ રિપોર્ટ તૈયાર કરવા માટે ભારતમાં આવેલી કોરોનાની પહેલી અને બીજી લહેરના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય દુનિયાના વિવિધ દેશોમાં ઓમિક્રોન વાયરસને કારણે વધતી કેસની સખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.

સંશોધકોએ જણાવ્યુ કે, અભ્યાસ અનુસાર કોરોનાના કેસ ૭૩૫ દિવસ પછી ચરમસીમાએ પહોંચે છે. અમે ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પ્રાથમિક અવલોકન કર્યુ હતું. જ્યારે ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. તેના ૭૩૫ દિવસ પછી કોરોનાની પ્રથમ લહેર આવી હતી. આ આંકડા અનુસાર જોવા જઈએ તો ૧૫મી ડિસેમ્બર ૨૦૨૧ની આસપાસ કેસ વધવાની શરુઆત થઈ ગઈ હતી, અને ત્રીજી લહેર ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આવી શકે છે.

આઈઆઈટીકાનપુરના ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટેસ્ટિક્સની આ ટીમમાં સબારા પ્રસાદ રાજેશભાઈ, સુભ્ર શંકર ધાર અને શલભ જોડાયા હતા. સશોધકોનુ કહેવું છે કે, કોરોનાની પહેલી અને બીજી લહેર પછી પ્રશ્ન થઈ રહ્યો હતો કે શુ ત્રીજી લહેર આવશે અને ક્યારે. તો આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે અમારી ટીમે આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ કરીને ડેટાના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે.

(12:00 am IST)