Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

મુસ્લિમો વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપતા અને લોકોને હિંસા માટે ઉશ્કેરવાના મુદ્દા ઉપર હરિદ્વારમાં યોજાયેલ ‘ધર્મ સંસદ’ને લઇને વિદેશી મીડિયામાં ઘેરાયુ ભારત

જુદા-જુદા અખબારોઍ નોંધ લીધીઃ વિવાદાસ્પદ ભાષણોનો વીડિયો વાયરલ

Photo: Haridwar

નવી દિલ્હી: હરિદ્વારમાં ‘ધર્મ સંસદ’ નામના કાર્યક્રમમાં મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપવા અને લોકોને હિંસા માટે ઉશ્કેરવાના મુદ્દા પર વિદેશી મીડિયાએ ઘણું ધ્યાન આપ્યું છે.

આ ઘટના પર પોલીસ કાર્યવાહી અને તેના પર ભારતના શાસક પક્ષના મૌનને લગતા સમાચાર અમેરિકાથી પાકિસ્તાન સુધીના અખબારોએ પોતપોતાના પેજ પર પ્રકાશિત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે આ મહિનાની 17 થી 19 તારીખ સુધી ઉત્તરાખંડના હરિદ્વારમાં ‘ધર્મ સંસદ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યાં હાજર લોકોના ‘વિવાદાસ્પદ ભાષણો’નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આવો જ એક કાર્યક્રમ 19 ડિસેમ્બરે દેશની રાજધાની દિલ્હીમાં ‘હિન્દુ યુવા વાહિની’ નામના સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ત્યાં હાજર લોકોને એક ખાસ સમુદાય વિરુદ્ધ હથિયાર ઉઠાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

વિદેશી અખબારોએ શું લખ્યું છે?

અમેરિકાના જાણીતા અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના પેજ પર આ ઘટનાના સમાચાર આપ્યા છે, જેનું શીર્ષક છે ‘હિંદુ ઉગ્રવાદીઓ મુસ્લિમોની હત્યા માટે આહ્વાન કર્યું, ભારતના નેતાઓ ચૂપ’.

સમાચારમાં લખવામાં આવ્યું છે કે ‘આ અઠવાડિયે સેંકડો દક્ષિણપંથી હિન્દુ કાર્યકરો અને સંતોએ એક સંમેલનમાં એક અવાજમાં શપથ લીધા. તેઓ બંધારણીય રીતે બિનસાંપ્રદાયિક રાષ્ટ્રને હિંદુ રાષ્ટ્રમાં રૂપાંતરિત કરશે, પછી ભલે તેમને મરવા કે મારવાની જરૂરત પડે.”

“હિંદુ મહાસભાના નેતા પૂજા શકુન પાંડેએ કહ્યું, ‘જો આપણામાંથી 100 લોકો તે 20 લાખ લોકોને મારવા માટે તૈયાર હશે તો અમે જીતીશું અને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવીશું.’ તેમનો ઈશારો દેશના મુસ્લિમો તરફ હતો. તેણે કહ્યું હતું કે ‘મારીને જેલમાં જવા માટે તૈયાર રહો’.

“ખચાખચ ભરેલા સભાગૃહમાં દક્ષિણપંથી હિંદુ સંતોએ બાકીના હિંદુઓને શસ્ત્રો ઉપાડવા અને મુસ્લિમોને મારી નાખવાની અપીલ કરી. તેમાં પ્રભાવશાળી ધાર્મિક નેતાઓ પણ હાજર હતા જેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસક પક્ષ સાથે ગાઢ સંબંધ છે, અને તેમાંથી કેટલાક પાર્ટીના સભ્યો પણ છે.”

“આ અઠવાડિયે સોશિયલ મીડિયા પર ઇવેન્ટના વિડિયોઝ ઝડપથી ફેલાવા લાગ્યા. હાલમાં શ્રીમાન મોદીએ એક ચોક્કસ મૌન જાળવી રાખ્યું છે, જે વિશ્લેષકોનું કહેવું છે કે તેમના સૌથી મોટા સમર્થકો માટે તેમનું મૌન એક સંકેત છે.”

તે ઉપરાંત ન્યુયોર્ક ટાઈમ્સ અખબાર લખે છે કે પુરાવાના અભાવ હોવા છતાં પણ માનવાધિકાર કાર્યકરો અને હાસ્ય કલાકારોને જેલમાં મોકલવા તૈયાર રહેલી ભારતીય પોલીસ આ મામલે કાર્યવાહી કરવામાં સુસ્ત છે.

અખબારે પોલીસ બાદ વિપક્ષના રાજકારણીઓના મૌન પર પણ લખ્યું છે કે, ‘આ મામલે વિપક્ષી રાજકીય જૂથોએ પણ મૌન પણ જાળવી રાખ્યું છે જે દર્શાવે છે કે મોદીએ 2014માં સત્તા સંભાળ્યા પછી દક્ષિણપંથી હિંદુ રાષ્ટ્રવાદીઓએ દેશને કેટલું પોતાની પક્કડમાં લઈ લેવામાં આવ્યું છે.

પીએમ મોદી અંગે શું લખ્યું

ન્યૂયોર્ક ટાઈમ્સ અખબાર લખે છે, “જ્યારે શ્રીમાન મોદીની ભાજપ કેટલીક રાજ્ય સરકારોમાં સત્તા પર છે અને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે ભડકાઉ ટિપ્પણીઓ આવી રહી છે. શ્રીમાન મોદી ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ માટે પ્રચાર કરી રહ્યા છે જે રાજ્યના મુખ્ય પ્રધાન છે. જેઓ મુસ્લિમ વિરોધી નફરતને અનેક વખત હવા આપી ચૂક્યા છે.”

“ચુંટણીની મોસમ દરમિયાન મુસ્લિમો વિરુદ્ધ હિંસાના ઘણા કિસ્સાઓ નોંધાયા છે, જેમાં મુસ્લિમ વ્યવસાયોને નિશાન બનાવવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.”

ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ લખે છે કે ‘જમણેરી હિંદુ રાષ્ટ્રવાદીઓ વર્ષોથી ઓનલાઈન હિંસાને પ્રોત્સાહન આપી રહ્યા છે, પરંતુ તાજેતરમાં જ હિંસા રસ્તાઓ પર પહોંચી ગઈ છે. મુસ્લિમ ફળ વિક્રેતાઓને શેરીઓમાં માર મારવામાં આવે છે, અને તેમની પાસેથી તેમણી કમાણી છીનવી લેવામાં આવે છે. મુસ્લિમ કાર્યકરોને આતંકવાદ વિરોધી કાયદા દ્વારા ધમકીઓ આપવામાં આવી છે.

ગલ્ફ મીડિયા ગ્રુપે શું લખ્યું છે

કતારના મીડિયા ગ્રુપ અલ-જઝીરાએ પણ તેની વેબસાઈટ પર આ ઘટના સાથે જોડાયેલા સમાચાર પ્રકાશિત કર્યા છે.

અલ-જઝીરાએ તેના અહેવાલનું શીર્ષક આપ્યું છે ‘ભારત: મુસ્લિમોના નરસંહાર માટે હિન્દુ સંમેલન પર આક્રોશ.’

સમાચારમાં કહેવામાં આવ્યું છે- “વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે ભારતમાં હિંદુ ધાર્મિક નેતાઓ મુસ્લિમો વિરુદ્ધ નરસંહારની અપીલ કરી રહ્યા છે, જેનાથી આક્રોશ ફેલાયો છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.”

ભારતીય પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે તેણે દ્વેષપૂર્ણ ભાષણની તપાસ શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીનો ઓછામાં ઓછો એક સભ્ય પણ આ કાર્યક્રમમાં સામેલ હતો. મોદી સરકારે હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

“વિડીયોમાં દેખાતી મહિલા દેખીતી રીતે કહી રહી છે કે ભારતીયોએ નાથુરામ ગોડસેની પૂજા કરવી જોઈએ, જેમણે 1948માં ભારતના આઝાદીના નાયક મહાત્મા ગાંધીની હત્યા કરી હતી.”

“અન્ય સભ્ય પ્રબોધનાથ ગિરી જેઓ ઘણા વરિષ્ઠ ભાજપના નેતાઓ સાથેના ફોટામાં જોવા મળ્યા છે, તેણે સફાઈ માટે અપીલ કરી અને કહ્યું કે મરવા અથવા મારવા માટે તૈયાર રહો.”

(4:41 pm IST)