News of Saturday, 25th December 2021
નવી દિલ્હી, તા.૨૫ : ગુજરાતના કચ્છમાં આવેલા ગુરુદ્વારા લખપત સાહેબમાં આજે ગુરુ નાનક દેવજીનુ ગુરુપર્વ મનાવવામાં આવી રહ્યુ છે.
આ નિમિત્તે પીએમ મોદીએ વિડિયો કોન્ફન્સથી ભાવિકોને સંબોધન કર્યુ હતુ.તેમણે કહ્યુ હતુ કે, અમેરિકાથી ૧૫૦ હેરિટેજ વસ્તુઓ પાછી લાવવામાં આવી છે અને તેમાં એક નાની તલવાર પણ હતી.જેના પર ફારસીમાં ગુરુ ગોવિંદ સિંહજીનુ નામ લખેલુ છે.આ સૌભાગ્ય મારી સરકારને મળ્યુ છે.સિખ ગુરુઓએ ભારતીય સમાજનુ મનોબળ વધાર્યુ છે.ગુરુ નાનકદેવજી અને બીજા ગુરુઓએ ભારતની ચેતનાની સાથે સાથે ભારતની સરહદોને પણ સુરક્ષિત રાખી છે.દેશ જ્યારે જાતિવાદના કારણે નબળો પડી રહ્યો હતો ત્યારે ગુરુ નાનકદેવજીએ કહ્યુ હતુ કે, તમામમાં ભગવાનના પ્રકાશને જોવાની જરુર છે અને કોઈની જાતિથી કોઈની ઓળખ નથી થતી.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, વિદેશી અત્યાચારીઓ તલવારની દમ પર ભારતની સત્તા છીનવી રહ્યા હતા ત્યારે ગુરુ નાનકદેવજીએ કહ્યુ હતુ કે, બાબર પાપ અને જુલમની તલવાર લઈને કાબુલથી આવ્યો છે અને તેના દમ પર ભારતની સત્તાનુ કન્યાદાન માંગી રહ્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, ઔરંગઝેબ સામે ગુરુ તેગ બહાદુરજીનુ પરાક્રમ અને બલિદાને શીખવાડ્યુ છે કે, આંતક અને ધાર્મિક કટ્ટરતા સામે કેવી રીતે લડી શકાય છે.આ જ રીતે દસમા ગુરુ ગોવિન્દસિંહજીનુ જીવન પણ બલિદાન અને તપનુ જીવતુ જાગતુ ઉદાહરણ છે.અંગ્રેજોના શાસનમાં પણ સિખ ભાઈઓ અને બહેનોએ વીરતા સાથે દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો છે.ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે, ખાલસા પંથની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવનારા પંજ પ્યારામાં ચોથા ગુરુ સિખ ભાઈ મોકહમ સિંહ ગુજરાતના હતા.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, જામનગરમાં ૭૦૦ બેડની હોસ્પિટલ પણ ગુરુ ગોવિંદસિંહજીના નામ પર બનાવાઈ છે.