Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ચીનના રાજદૂતે કહ્યું : ગલવાનમાં થયેલું હિંસક ઘર્ષણ દુર્ભાગ્યપૂર્ણ હતું, સંઘર્ષ ટાળવો જરૂરી

વાતચીતના માધ્યમથી આ તણાવને ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

નવી દિલ્હીઃ લદાખની ગલવાન ઘાટીમાં LAC પર થયેલા હિંસક ઘર્ષણને હવે બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ દ્યટનામાં ભારતના ૨૦ સૈનિક શહીદ થયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી ભારત અને ચીનની વચ્ચે વાતચીતના અનેક ચરણ થઈ ચૂકયા છે, પરંતુ અત્યાર સુધી તેનું કોઈ મજબૂત પરિણામ સામે નથી આવ્યું. આ વચ્ચે ભારતમાં ચીનના રાજદૂત સૂન વેડોન્ગ એ કહ્યું છે કે ગલવાન ઘાટીની ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી. સાથોસાથ તેઓએ આ ઘટનાને ઈતિહાસના સંદર્ભથી સંક્ષિપ્ત ક્ષણ કહી છે. વેડોન્ગે એવું પણ કહ્યું કે વાતચીતના માધ્યમથી આ તણાવને ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એકસપ્રેસ' મુજબ, સૂન વેડોન્ગે આ વાતો ભારત-ચીન યૂથ ફોરમમાં કહી. તેનું આયોજન ૧૮ ઓગસ્ટે થયું હતું. રાજદૂતની આ વાતોને ચીનના દૂતાવાસે મંગળવારે પ્રકાશિત કરી છે. આ વેબિનારમાં સૂન વેડોન્ગે કહ્યું કે, બે ઉભરતા મુખ્ય પડોશીઓના રૂપમાં ચીન અને ભારતને વિચારધારાની લાઇનોની જૂની માનસિકતાને છોડી દેવી જોઇએ અને 'એકને લાભ બીજાને નુકસાન',ના જૂના ખેલથી છુટકારો મેળવવો જોઈએ. એવામાં તમે ભટકી જશો અને ખોટા માર્ગે ચાલ્યા જશો.

સૂન વેડોન્ગે વધુમાં કહ્યું કે, ઘણા દિવસ નથી થયા જયારે સરહદ પર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી જેને ન તો ચીન અને ન તો ભારત જોવાનું પસંદ કરશે. હવે અમે તેને ઠીક કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. આ ઘટના ઈતિહાસના સંદર્ભમાં સંક્ષિપ્ત ક્ષણ હતી. સૂને કહ્યું કે વિકાસના લક્ષ્યોને મેળવવા માટે, બંને દેશોને એક શાંતિપૂર્ણ અને અનુકૂળ બહારનું વાતાવરણ જરૂરી છે. ચીન અને ભારત, પડોશી દેશોએ શાંતિથી રહેવું જોઈએ અને સંઘર્ષને ટાળવો જોઈએ.

જૂનમાં ગલવાન ઘાટીમાં ઘર્ષણ બાદ આર્થિક સંબંધો પર ચીનના રાજદૂતે કહ્યું કે, મને લાગે છે કે બે મોટી અર્થવ્યવસ્થાઓને એક-બીજાને ચુંબકની જેમ આકર્ષિત કરવા જોઈએ, બળજબરીથી અલગ કરવાના પ્રયાસથી દૂર રહેવું જોઈએ. તેઓએ એમ પણ કહ્યું કે, આપણે આપણી સામાજિક વ્યવસ્થાઓનું સન્માન કરવું જોઈએ. તેઓએ કહ્યું કે, મારું માનવું છે કે દરેક દેશની સામાજિક પ્રણાલી પોતાના સંબંધિત લોકો દ્વારા બનાવવામાં આવેલી એક સ્વતંત્ર ચીજ છે અને તેમાં બીજા કોઈએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ. ચીન અને ભારતની અલગ-અલગ સામાજિક પ્રણાલીઓ અને સાંસ્કૃતિક પરંપરાઓ છે, પરંતુ આપણા સૌનું લક્ષ્ય વિકાસના પંથે ચાલવાનું છે જે આપણી રાષ્ટ્રીય પરિસ્થિતિઓને અનુકૂળ હોય.

(11:39 am IST)