Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સબરીમાલા મંદિરમાં એટલું દાન આવ્‍યું કે ગણતરી કરતા કર્મચારીઓ થાકી ગયા

મંદિરમાં નોટો ગણવા માટે ૬ મશીન છેઃ સાથે જ સિક્કા ગણવા માટે ૬૦૦ કર્મચારીઓને કામે લગાડવામાં આવ્‍યા

ત્રીચી,તા. ૨૭: કોવિડ સંબંધિત પ્રતિબંધો ખતમ થયા બાદ કેરળના સબરીમાલા ખાતે ભગવાન અયપ્‍પાના મંદિરમાં ભક્‍તોની ભારે ભીડ ઉમટી રહી છે. નવેમ્‍બરથી શરૂ થયેલા ૬૦ દિવસીય મંડલમ-મકરવિલક્કુ ઉત્‍સવમાં પહોંચેલા લાખો ભક્‍તોએ આ વખતે ઉદાર હાથે દાન આપ્‍યું છે. જેના કારણે દાનનો અગાઉનો રેકોર્ડ તૂટી ગયો છે. મંદિરને ૩૫૧ કરોડ રૂપિયાની આવક થઈ છે. જો કે, તેને અત્‍યારે અંતિમ ગણી શકાય નહીં, કારણ કે મંદિરમાં સિક્કાઓની ગણતરી પૂર્ણ થઈ નથી. સિક્કા ગણતા કામદારો ગણીને થાકી ગયા છે. એટલા માટે તેમને એકવાર આરામ આપવામાં આવ્‍યો છે. થોડા સમય બાદ ફરીથી ગણતરી શરૂ થશે.

ત્રાવણકોર દેવસ્‍વોમ બોર્ડના પ્રમુખ કે. અનંત ગોપાલનું કહેવું છે કે નોટ ગણવાના મશીનથી સિક્કા ગણવા શક્‍ય નથી. ૫ ફેબ્રુઆરીથી સિક્કાઓની ગણતરી ફરી શરૂ થશે. અયપ્‍પા મંદિરને સિક્કાના રૂપમાં કરોડો રૂપિયાનું દાન પણ મળે છે. મંદિર મેનેજમેન્‍ટે સિક્કા ગણવા માટે છસો કર્મચારીઓને કામે રાખ્‍યા હતા.

મંદિરને પ્રસાદના વેચાણમાંથી પણ ઘણી આવક થાય છે. ઉત્‍સવ દરમિયાન મંદિર તરફથી અરાવના અને અપ્‍પમને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. અપ્‍પમની હુંડી સો રૂપિયામાં મળે છે. દરરોજ સરેરાશ ૧ લાખ શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચે છે. આ યાત્રાળુઓ દ્વારા લેવામાં આવેલા પ્રસાદથી મંદિરને ઘણી આવક થઈ હતી. અનંત ગોપાલના જણાવ્‍યા અનુસાર, ૨૦ ટકા શ્રદ્ધાળુઓ બાળકો હતા.

મંદિરના ગર્ભગૃહમાં ભક્‍તો જે દાન કરે છે તેને કનિકા કહે છે. ભક્‍તો દ્વારા ચઢાવવામાં આવતી કનિકા મોટી તિજોરી સુધી પહોંચે છે. જયાં તેમને કન્‍વેયર બેલ્‍ટ દ્વારા સ્‍ટોર રૂમમાં લઈ જવામાં આવે છે. કન્‍વેયર બેલ્‍ટમાં ફસાઈને ઘણી નોટો ફાટી પણ જાય છે. સિક્કાના રૂપમાં મળેલી કનિકા વાસ્‍તવમાં કરોડો રૂપિયાની છે. જેની હજુ સુધી ગણતરી થઈ નથી. હાલમાં આ સિક્કા મોટા સ્‍ટોર રૂમમાં રાખવામાં આવ્‍યા છે. જેને સિક્કાઓના મોટા પહાડ તરીકે જોવામાં આવે છે.

ત્રાવણકોર દેવસ્‍વોમ બોર્ડની બેંકર ધનલક્ષ્મી બેંકે નોટો ગણવા માટે છ નાના અને એક મોટા મશીન આપ્‍યા છે. આમ છતાં કનિકાની ગણતરી કરવી સરળ નથી. કારણ કે ભક્‍તો મુક્‍તપણે દાન કરે છે, જેના કારણે નોટો અને સિક્કાઓનો ઢગલો થઈ જાય છે. નોટોને અલગ કરવામાં આવે છે અને પછી મશીન દ્વારા ગણતરી કરવામાં આવે છે.

ભગવાન અયપ્‍પા મંદિરમાં દાન આપવાનો પોતાનો રિવાજ છે, જેને કનિકા કહેવામાં આવે છે. અહીં પૈસા સીધા હુંડી કે દાન પેટીમાં નાખવામાં આવતા નથી. નોટ અથવા સિક્કા એક થેલીમાં મુકવામાં આવે છે અને તેમાં એક પાનનું પત્તુ પણ રાખવામાં આવે છે. આ બેગ પછી કનિકા તરીકે રજૂ કરવામાં આવે છે. જો આ થેલીને લાંબા સમય સુધી ખોલવામાં ન આવે તો પાનનું પત્તુ ઓગળવાથી નોટો બગડી શકે છે.

મંદિર પ્રશાસન સિક્કાઓના પહાડને ગણવાને બદલે તોલવાનું વિચારી રહ્યા છે. પરંતુ સમસ્‍યા એ છે કે સમાન મૂલ્‍યના સિક્કાઓનું કદ અને વજન અલગ અલગ હોય છે. આ કારણે તેમની ચોક્કસ કિંમત જાણી શકાતી નથી. આ કારણોસર, ઘણા લોકો માત્ર સિક્કાની ગણતરીની તરફેણમાં છે. હાલ મંદિર બંધ છે. હવે મંદિર ૧૨ ફેબ્રુઆરીથી ખુલશે. જયારે મલયાલમ યુગમાં કુંભમ મહિનો શરૂ થાય છે.

(11:31 am IST)