Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

પાકિસ્‍તાનમાં કેળા ૫૦૦ રૂપિયે ડઝન અને દ્રાક્ષ ૧૬૦૦ રૂપિયે કિલો

પાકિસ્‍તાનમાં મોંઘવારી આસમાને પહોંચી : દરેક વસ્‍તુઓના ભાવમાં અનેક ગણો વધારો : પાકિસ્‍તાનમાં રમઝાન દરમિયાન લોકોની મુશ્‍કેલીઓમાં વધારો : એક વેબસાઈટ મુજબ, શાકભાજી અને દૂધના ભાવ તો વધી જ ગયા છે

ઈસ્‍લામાબાદ તા. ૨૭ : ભયંકર આર્થિક કટોકટીમાં ફસાયેલા પાકિસ્‍તાન માટે આ વખતે રમઝાન ઘણો મુશ્‍કેલ થઈ ગયો છે. દેશમાં રોજબરોજની વસ્‍તુઓ ઉપરાંત લોટ પણ લોકોની પહોંચની બહાર થઈ ગયો છે. સાથે જ જે અહેવાલો આવી રહ્યા છે, તેના પર વિશ્વાસ કરીએ તો કેળા અને દ્રાક્ષ જેવા ફળ તો હવે સપનું થઈ ગયા છે. પાકિસ્‍તાનમાં હાલમાં કેળા અને દ્રાક્ષ જે ભાવે વેચાઈ રહ્યા છે, તે જાણીને તમે ચોંકી જશો. પાકિસ્‍તાનને ઈન્‍ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી ઘણી આશાઓ હતી, પરંતુ તેણે પાકિસ્‍તાનને બદલે શ્રીલંકાની મદદ કરવાનું યોગ્‍ય માન્‍યું છે. હવે, પાકિસ્‍તાનનું ભવિષ્‍ય શું હશે તે કોઈ નથી જાણતું.

પાકિર્સ્‍ીતાનમાં હાલના સમયમાં એક ડઝન કેળાના ભોવ ૫૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. તે ઉપરાંત દ્રાક્ષ ૧૬૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. ડુંગળીની ભાવમાં ૨૨૮.૨૮ ટકાનો વધારો થયો છે. જયારે કે, લોટની કિંમત ૧૨૦.૬૬ ટકા સુધી વધી ગઈ છે. ગત દિવસોમાં દેશમાં ૫૧ વસ્‍તુઓના ભાવોને ટ્રેક કરાયા છે અને દરેક વસ્‍તુના ઘણા ગણા વધી ગયા છે. કેળાના ભાવમાં ૮૯.૮૪ ટકાનો વધારો થયો છે. પાકિસ્‍તાનમાં ડીઝલ હાલમાં ૧૦૨.૮૪ ટકા અને પેટ્રોલ ૮૧.૧૭ ટકા સુધી મોંઘુ થઈ ગયું છે. ઈંડાની વાત કરીએ તો તેના ભાવમાં લગભગ ૮૦ ટકાનો વધારો થયો છે. પાકિસ્‍તાનનું આર્થિક સંકટ દિવસેને દિવસે ઘેરું બનતું જઈ રહ્યું છે.

પાકિસ્‍તાન સાંખ્‍યિક બ્‍યૂરો મુજબ, સંવેદનશીલ મૂલ્‍ય ઈન્‍ડેક્‍સ પર આધારિત મોંઘવારી દર ૨૨ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં યર ઓન યર ૪૭ ટકા નોંધાયો છે. આઈએમએફના એક અધિકારીએ કહ્યું કે, દેશ માટે રાહત પેકેજ હવે પાકિસ્‍તાન અને આંતરાષ્ટ્રીય લેણદારો વચ્‍ચે ફસાઈ ગયું છે. રોયટર્સએ કહ્યું કે, પાકિસ્‍તાન અને તેને લોન આપનારા દેશોએ એક પ્રસ્‍તાવિત ઈંધણ મૂલ્‍ય સ્‍કીમ પર સહી કરવી પડશે અને તે પછી આ મામલાનો ઉકેલાઈ જશે.

પાકિસ્‍તાન અને આઈએમએફ બંને વચ્‍ચે ૧૧૦ કરોડ ડોલરની સહાય માટે એક સમજૂતી પર વાતચીત ચાલી રહી છે. પાકિસ્‍તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અમીર અને પ્રભાવશાળી ગ્રાહકો પાસેથી ઈંધણ માટે વધુ ફી લેવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે પણ રકમ તેનાથી મળશે તેનો ઉપયોગ ગરીબો માટે કિંમતોમાં સબસિડી માટે કરાશે. પાકિસ્‍તાનના પેટ્રોલિયમ મંત્રી મુસાદિક મલિકે કહ્યું કે, તેમની સરકારને ઈંધણ મૂલ્‍ય નક્કી કરવાની યોજના પર કામ કરવા માટે છ સપ્તાહનો સમય અપાયો છે.

 

(11:39 am IST)