Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

બિહાર - બંગાળ -મ.પ્રદેશ માટે ભાજપે બહાર પાડી સ્‍ટાર પ્રચારકોની યાદી : દિગ્‍ગજો ઉતરશે મેદાને

મોદી - શાહ - રાજનાથ - ગડકરી - સ્‍મૃતિ - મિથુન - રવિ કિશન - યોગી વગેરેના નામો

નવી દિલ્‍હી, તા.૨૭: લોકસભા ચૂંટણીને લઈ સૌથી મોટુ અપડેટ સામે આવી છે. ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્‍યો માટે તેના સ્‍ટાર પ્રચારકોની યાદી બહાર પાડી છે. આ ત્રણ યાદીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી, પાર્ટી અધ્‍યક્ષ જેપી નેડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગળહ મંત્રી અમિત શાહ, માર્ગ પરિવહન અને રાજ્‍ય મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરપ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથનો સમાવેશ થાય છે. સંબંધિત રાજ્‍યોમાંથી ભાજપના ઘણા મોટા નેતાઓને સ્‍ટાર પ્રચારક બનાવવામાં આવ્‍યા છે. રાજ્‍યોના સ્‍ટાર પ્રચારકોની યાદીમાં એવા કેટલાક નામ છે જેઓ વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા અથવા વર્તમાન લોકસભા ચૂંટણીમાં ટિકિટ પણ ન મળી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કાની ચૂંટણીને આડે ૨૫ દિવસથી પણ ઓછો સમય બાકી છે. દેશમાં ૧૯ એપ્રિલે લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થશે.

ભાજપનાસ્‍ટાર પ્રચારકોની યાદીમાં એવા ઘણા નામ છે જેમને ટિકિટ મળી નથી પરંતુ આ યાદીમાં સામેલ છે. બિહારના અશ્વની ચૌબે પણ સ્‍ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. જ્‍યારે સૈયદ શાહનવાઝ હુસૈન અન્‍ય ચૂંટણીઓની જેમ આ ચૂંટણીમાં પણ બિહારમાંથી સ્‍ટાર પ્રચારક બન્‍યા છે. અગ્રણી કેન્‍દ્રીય નેતાઓ ઉપરાંત, સુશીલ કુમાર મોદી, મંગલ પાંડે, સંજય જયસ્‍વાલ, રેણુ દેવી, સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, અનિલ શર્મા, નિવેદિતા સિંહ અને નિક્કી હેમબ્રેન જેવા બિહારના નેતાઓ પણ સામેલ છે. છેલ્લા ૧૦ વર્ષથી દિલ્‍હીના સાંસદ અને ભોજપુરી અભિનેતા મનોજ તિવારી પણ બિહારના સ્‍ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી ડો.મોહન યાદવ પણ બિહારમાં સ્‍ટાર પ્રચારક બની ગયા છે.

મધ્‍યપ્રદેશમાંથી ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલી સ્‍ટાર પ્રચારકોની યાદીમાં રાજ્‍યના પૂર્વ ગળહમંત્રી અને વિધાનસભાની ચૂંટણીમાં હારેલા નરોત્તમ મિશ્રાનો પણ સમાવેશ થાય છે. આ સાથે અન્‍ય રાજ્‍યોના ઘણા મુખ્‍યમંત્રીઓ મધ્‍યપ્રદેશમાં બીજેપીના સ્‍ટાર પ્રચારક બની ગયા છે. મધ્‍ય પ્રદેશમાં, ઉત્તર પ્રદેશના મુખ્‍ય પ્રધાન યોગી આદિત્‍યનાથ, છત્તીસગઢના મુખ્‍ય પ્રધાન વિષ્‍ણુ દેવ સાઈ, આસામના મુખ્‍ય પ્રધાન હેમંત વિશ્વ શર્મા, રાજસ્‍થાનના મુખ્‍ય પ્રધાન ભજનલાલ શર્મા, મહારાષ્‍ટ્રના નાયબ મુખ્‍ય પ્રધાન દેવેન્‍દ્ર ફડણવીસ પણ સ્‍ટાર પ્રચારક છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સુરેશ પચૌરીનો પણ ભાજપના સ્‍ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ થાય છે.

ભાજપ માટે પશ્‍ચિમ બંગાળ એક પડકારજનક રાજ્‍ય છે જ્‍યાં પાર્ટી તેના સાંસદોની સંખ્‍યા વધારવા માંગે છે. તેથી ફિલ્‍મ અભિનેતા મિથુન ચક્રવર્તી અને પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવિયાના નામ પણ ભાજપ દ્વારા જાહેર કરાયેલ પશ્‍ચિમ બંગાળના ૪૦ સ્‍ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. પીએમ મોદી અને અગ્રણી કેન્‍દ્રીય નેતાઓ ઉપરાંત શુભેન્‍દુ અધિકારી, દિલીપ ઘોષ, સ્‍વપન દાસ ગુપ્તા, મુફુજા ખાતૂન, રુદ્રનીલ ઘોષ, અમિતાભ ચક્રવર્તી, સુકુમાર રાય, સિદ્ધાર્થ તિર્કી, દેવશ્રી ચૌધરી સહિતના ઘણા મોટા નેતાઓ પશ્‍ચિમ બંગાળમાં ભાજપના સ્‍ટાર પ્રચારક બનશે.

(10:41 am IST)