Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ગર્ભપાત કરાવવા પતિની મંજૂરી લેવાની જરૂર નથી

કેરળ હાઇકોર્ટનો મહત્‍વનો ચુકાદો

કોચી, તા.૨૭ : કેરળ હાઇકોર્ટે સોમવારે ઘરેલું હિંસાની પીડિતાને લઈને એક મહત્ત્વનો ચુકાદો આપ્‍યો હતો. તેમાં જણાવવામાં આવ્‍યું હતું કે, એક સ્ત્રીને ગર્ભપાત કરવવા માટે તેના પતિની મંજૂરી લેવાની જરૂર નથી.

કોર્ટે મેડિકલ ટર્મિનેશનલ પ્રેગ્નેન્‍સી એક્‍ટને ટાંકતા કહ્યુ હતુ કે, આ એક્‍ટ અંતર્ગત કોઈપણ સ્ત્રીને ગર્ભપાત કરાવવા માટે તેના પતિની મંજૂરી લેવી જ પડે તેવી કોઈ જોગવાઈ નથી. તેનું કારણ એ છે કે, તે સ્ત્રી જ ગર્ભાવસ્‍થાના તણાવ અને તાણ સહન કરતી હોય છે, જાણતી હોય છે. આ ઉપરાંત કોર્ટે જણાવ્‍યું હતું કે, ‘ષાીના વૈવાહિક જીવનમાં લગ્ન કર્યા પછી મેરિટલ સ્‍ટેટ્‍સમાં બદલાવનો મોટો ફેરફાર થતો હોય છે. ‘છૂટાછેડા' નામનો શબ્‍દ તેને કોઈપણ રીતે બાધિત કરી શકતો નથી.'

જસ્‍ટિસ વી.જી. વરુણે આ મામલે ચુકાદો આપ્‍યો હતો અને પરિણીત યુવતીને કોટ્ટયમ કે અન્‍ય કોઈ સરકારી હોસ્‍પિટલમાં ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી. કોર્ટે કોટ્ટયમની ૨૧ વર્ષીય પરિણીત યુવતીની ગર્ભપાત અંગેની પિટિશન મામલે ચુકાદો આપ્‍યો હતો.

પરિણીતાએ બી.એનો અભ્‍યાસ પૂરો કર્યો હતો, પરંતુ તેમાં એક પેપર બાકી રહી ગયું હતું. ત્‍યારે સપ્‍લિમેન્‍ટરી પરીક્ષા માટે તેણે એક કોમ્‍પ્‍યુટર કોર્સ શરૂ કર્યો હતો. તે દરમિયાન તેને એક ૨૬ વર્ષીય બસ કન્‍ડક્‍ટર યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્‍યારે પિટિશનકર્તા યુવતીના પરિવારે આ સંબંધ સામે વાંધો ઉઠાવ્‍યો હતો. ત્‍યારે તે યુવક સાથે ભાગી ગઈ હતી. ત્‍યારે લગ્નના થોડાં સમય પછી યુવકની માતા અને યુવક તે યુવતી પર દહેજને લઈને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હતા. ત્‍યારે જ તે પ્રેગ્નેન્‍ટ હતી. ત્‍યારબાદ પતિએ તેના બાળકને લઈને શંકા કરી હતી અને યુવતીને નાણાંકીય રીતે કે અન્‍ય કોઈ રીતે સપોર્ટ કરવાની ના પાડી દીધી હતી. ત્‍યારબાદ પતિ અને સાસુની ક્રૂરતા દિવસેને દિવસે વધતી જતી હતી. આખરે કંટાળીને પરિણીતાએ તે ઘર છોડી દીધું હતું.

કોર્ટે કહ્યુ હતુ કે, તેની સાથે કથિત રીતે ખરાબ વર્તન કરવામાં આવ્‍યું હતું. તેને કંટાળીને તેના પતિને પણ છોડી દીધું હતું અને તેને એકલા રહેવા ફરજ પાડી હતી. આ સિવાય પતિ અને માતા દ્વારા ક્રૂરતા પણ આચરવામાં આવી હતી અને ત્‍યારે અરજદારે પિટિશન દાખલ કરી હતી. હાઇકોર્ટની કાર્યવાહી દરમિયાન પણ પતિએ પત્‍નીને સ્‍વીકારવામાં કોઈ રસ દાખવ્‍યો નહોતો.

મેડિકલ બોર્ડે આ મામલે અભિપ્રાય આપ્‍યો હતો કે, અરજદારનો ગર્ભપાત ન કરાવવામાં આવે તો તેમના માનસિક સ્‍વાસ્‍થ્‍ય પર ગંભીર નકારાત્‍મક અસર થઈ શકે છે. અરજદારના પતિ સાથે છૂટાછેડા અથવા છૂટાછેડાના પુરાવા આપતા કાયદાકીય દસ્‍તાવેજો ન હોવાથી ગર્ભપાત કરવા માટેની અરજી નકારી શકાશે નહીં. આ મામલે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, અરજદાર પરિણીત મહિલા હોવાથી ગર્ભધારણ સમાપ્ત કરવા અંગે પતિ-પત્‍નીએ સંયુક્‍ત નિર્ણય લેવો પડશે.

(11:50 am IST)