Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

બાળકી પર દુષ્કર્મ-હત્યામાં આરોપીને ફાંસીની સજા

અજમેરની પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : ૧૩ વર્ષની છોકરી બૈદ્યનાથની પહાડીઓ પર બકરા ચરાવવા ગઈ હતી જ્યાં પરીચિતે હવસનો શિકાર બનાવી

અજમેર, તા.૨૭ : અજમેરની પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવતા આરોપીને ફાંસીની સજા અને ૧ લાખ ૨૫ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. આ મામલો પુષ્કર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં ૧૩ વર્ષની બાળકી પર આરોપીઓએ બળાત્કાર ગુજાર્યો હતો અને તેને પથ્થરથી કચડીને મારી નાખી હતી. વિશેષ સરકારી વકીલ રૂપેન્દ્ર કુમાર પરિહારે જણાવ્યું હતું કે ગત જૂન મહિનામાં પુષ્કર પોલીસ સ્ટેશનમાં રહેતી ૧૩ વર્ષની છોકરી બૈદ્યનાથની પહાડીઓ પર બકરા ચરાવવા ગઈ હતી. સાંજના સમય છોકરીનો પરિચિત સુંદર ઉર્ફે સુરેન્દ્ર ઉર્ફે સત્તુ રાવત ત્યાં પહોંચે છે અને કિશોરીને બળજબરીથી પોતાની હવસનો શિકાર બનાવે છે.

આ પછી છોકરી કોઈને કહી દેશે તેવા ડરથી તેનું માથું ભારે પથ્થરો વડે કચડીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મૃતકની ઓળખ છતી ન થાય તે માટે તેણે મોઢા પર પથ્થરથી હુમલો પણ કર્યો હતો. પરિહારે જણાવ્યું હતું કે બાળકીનો મૃતદેહ મળ્યા બાદ ઘટનાક્રમની પુષ્ટિ થઈ હતી. જેના પર પોલીસે તાત્કાલિક આરોપી સુંદર રાવતની ધરપકડ કરી ૩ દિવસમાં કોર્ટમાં કોર્ટમાં રજૂ કર્યો હતો. ફરિયાદ પક્ષ વતી, ૨૦ સાક્ષીઓ અને ૫૧ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. જેના આધારે ન્યાયાધીશ રતન લાલ મુંડે આરોપી સુંદર રાવતને દોષિત ઠેરવ્યો અને તેને મૃત્યુદંડ અને ૧ લાખ ૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

વિશેષ સરકારી વકીલ રૂપેન્દ્ર કુમાર પરિહારે જણાવ્યું કે આ કેસમાં ન્યાયાધીશ રતન લાલ મૂંડે પણ અવલોકન કર્યું કે આરોપીએ ૧૩ વર્ષની છોકરી સાથે પશુત્વ જેવો ગંભીર, જઘન્ય અપરાધ કર્યો છે. તેના માથા પર પથ્થર મારીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. દુર્લભ શ્રેણીમાં આવા ગુનાની આ ઘટનાએ સમાજમાં આક્રોશ અને ભયનું વાતાવરણ સર્જ્યું છે. આ સાથે આરોપીએ ભ્રષ્ટ માનસિકતાના કારણે મૃતક સાથે પોતાની હવસ શાંત કર્યા બાદ તેના માથામાં પથ્થરો વડે માર મારી ક્રૂરતાપૂર્વક અને નિર્દયતાથી હત્યા કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોપીને આ ઘટના માટે કોઈ પસ્તાવો હોય તેવું લાગતું નથી. પરિચિત છોકરીની સાથે ગુનો કરીને સામાજિક મૂલ્યોને બગાડવામાં આવ્યા છે. આરોપી ૧૧ મહિનાની બાળકીનો પિતા હોવાથી તેણે મૃતક પ્રત્યે કોઈ દયા ન દાખવી. આરોપી સંપૂર્ણ સ્વસ્થ મનનો હોવાથી ક્રૂર, ભયાનક, ઘૃણાસ્પદ અને શરમજનક, ભયાનક ઘટના છે. ન્યાયની દૃષ્ટિએ આજીવન કારાવાસ પૂરતો નથી. તેથી, આ સંજોગોમાં મૃત્યુ દંડ કરતાં ઓછી સજા આપવાનું કોઈ કારણ નથી.

 

(7:56 pm IST)