News of Friday, 29th March 2024
મુંબઈ, તા.૨૯ :CBIએ NCP નેતા પ્રફુલ પટેલ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ બંધ કરી દીધો છે. મળતી માહિતી મુજબ CBIએ એર ઈન્ડિયા-ઈન્ડિયન એરલાઈન્સ મર્જર કેસમાં તેમની સામે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. તમને જણાવી દઈએ કે વિલીનીકરણ સમયે પ્રફુલ્લ પટેલ કેન્દ્રમાં નાગરિક ઉડ્ડયન મંત્રી હતા. નોંધનિય છે કે, ગયા વર્ષે જુલાઈમાં પ્રફુલ્લ પટેલ પણ અજિત પવારની સાથે NDAમાં જોડાયા હતા. શું તમે જાણો છે કે, પ્રફુલ પટેલ સામે કયો કેસ હતો ?
મનમોહન સરકાર દરમિયાન એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના વિલીનીકરણ દ્વારા NACIL કંપનીની રચના કરવામાં આવી હતી. કંપની પર એરક્રાફ્ટ લીઝ પર લેવામાં કથિત અનિયમિતતાનો આરોપ હતો અને CBIએ તેની તપાસ કરી હતી. તપાસ એજન્સીએ હવે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે કારણ કે તેને કેસમાં કોઈ ગેરરીતિનો કોઈ પુરાવો મળ્યો નથી. અધિકારીઓએ આ માહિતી આપી. સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈએ ૨૦૧૭માં આ કેસની તપાસ શરૃ કરી હતી. એજન્સીએ તાજેતરમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખાનગી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ સાથે સીટ કરાર સહિત એર ઇન્ડિયામાં કથિત અનિયમિતતા સંબંધિત અન્ય કેસ હજુ પણ ચાલુ છે. વિશેષ અદાલત નક્કી કરશે કે આ અહેવાલ સ્વીકારવો કે એજન્સીને વિવિધ મુદ્દાઓ પર વધુ તપાસ કરવા નિર્દેશ કરવો. આ મામલો એર ઈન્ડિયા દ્વારા મોટી સંખ્યામાં એરક્રાફ્ટ લીઝ પર આપવામાં ગેરરીતિઓના આરોપોથી સંબંધિત છે, જેના પરિણામે રાષ્ટ્રીય કેરિયરને ભારે નુકસાન થયું હતું જ્યારે કેટલાક લોકોને ફાયદો થયો હતો. આરોપ લગાવવામાં આવ્યો હતો કે, મોટા પાયે એરક્રાફ્ટની ખરીદી અને બહુવિધ ફ્લાઈટ્સ, ખાસ કરીને વિદેશી ફ્લાઇટ્સમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયા પછી પ્લેન લીઝ પર આપવાનો નિર્ણય નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નેશનલ એવિએશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (NACIL) ના અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો. તે સમયે પ્રફુલ્લ પટેલ નાગરિક ઉડ્ડયન મંત્રી હતા. પ્રફુલ્લ હવે NDA સાથે છે. નેશનલ એવિએશન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની રચના એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના વિલીનીકરણ બાદ કરવામાં આવી હતી.