Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

શ્રીનગરમાં સુરક્ષાદળોએ તોયબાના ટોપ કમાન્ડર સહિત ૨ આતંકીનો ખાતમો કર્યો

મલૂરા પરિમપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ એક પાકિસ્તાની આતંકી અને લશ્કર એ તૈયબાના ટોપના કમાન્ડર સહિત બે આતંકીઓનો ખાતમો કર્યો છે

શ્રીનગર,તા. ૨૯: જમ્મુ અને કાશ્મીરના મલૂરા પરિમપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ એક પાકિસ્તાની આતંકી અને લશ્કર એ તોયબાના ટોપના કમાન્ડર સહિત બે આતંકીઓનો ખાતમો કર્યો છે. અથ઼઼ડામણમાં એક સહાયક કમાન્ડન્ટ, સબ ઈન્સ્પેકટર અને સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયા છે.

કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યાં મુજબ માર્યા ગયેલા આતંકીઓમાંથી એકનું નામ અબરાર છે અને તે ઘાટીમાં લશ્કરનો ટોપ કમાન્ડર હતો. સુરક્ષાદળોએ ઘટનાસ્થળેથી ભારે સંખ્યામાં હથિયાર અને ગોળા બારૂદ જપ્ત કર્યા છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.

કાશ્મીરના આઈજીપી વિજયકુમારના જણાવ્યાં મુજબ લશ્કર એ તોયબાના ટોપના કમાન્ડર અબરારની ગઈ કાલે ધરપકડ કરાઈ હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે એકે-૪૭ રાઈફલ કયાં મૂકી છે. હથિયાર જપ્ત કરાવવા માટે જયારે તે ઘરમાં ગયા તો ત્યાં છૂપાયેલા તેના સાથીએ સુરક્ષાદળોના જવાનો પર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી.

વિજયકુમારના જણાવ્યાં મુજબ જવાબી કાર્યવાહીમાં એક પાકિસ્તાની આતંકી અને અબરાર ઠાર થયા. એકે-૪૭ રાઈફલો ઘટનાસ્થળેથી મળી આવી. માર્યો ગયેલો આતંકી અબરાર સુરક્ષાદળો અને નાગરિકો પર થયેલા અસંખ્ય જીવલેણ હુમલામાં સામેલ હતો.

(9:57 am IST)