Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

નથી સુધરી ‘અન્‍નદાતા'ની હાલત : કૃષિ ક્ષેત્રે આત્‍મહત્‍યા વધી

કૃષિ ક્ષેત્રએ કોરોનાકાળમાં પોઝીટીવ ગ્રોથ નોંધાવી અર્થતંત્રને ભલે બચાવ્‍યું હોય પણ ખેડૂતોની આત્‍મહત્‍યાના કેસ ઘટવાના બદલે વધ્‍યા : ૨૦૨૦માં ૨૦૧૯ કરતાં વધુ આત્‍મહત્‍યા જોવા મળી : એનસીબીઆરબીના રિપોર્ટ અનુસાર ખેડૂતોના આપઘાત ૧૮% વધ્‍યા

નવી દિલ્‍હી તા. ૨૯ : કોરોના કાળમાં કૃષિ ક્ષેત્રએ પોઝીટીવ ગ્રોથ નોંધાવીને ભલે ભારતીય અર્થવ્‍યવસ્‍થાને બચાવી હોય પણ ખેડૂતોની આત્‍મહત્‍યાની ઘટનાઓ ઘટવાના બદલે વધી છે. કૃષિ ક્ષેત્રમાં ૨૦૨૦માં ૨૦૧૯ની સરખામણીમાં વધારે આત્‍મહત્‍યાઓ જોવા મળી છે. એનસીબીઆરબીના રિપોર્ટ અનુસાર, ખેડૂતોની આત્‍મહત્‍યાના કેસોમાં ૧૮ ટકાનો વધારો થયો છે.
૨૦૨૦માં કૃષિ ક્ષેત્રમાં ૪૦૦૬ આત્‍મહત્‍યાઓ સાથે મહારાષ્‍ટ્ર આ યાદીમાં  ટોચ પર છે. ત્‍યાર પછી કર્ણાટક (૨૦૧૬), આંધ્રપ્રદેશ (૮૮૯), મધ્‍યપ્રદેશ (૭૩૫) અને છત્તીસગઢ (૫૩૭) સાથે કુલ ૧૦૬૬૭ આત્‍મહત્‍યાઓ નોંધાઇ છે. ૨૦૧૯માં પણ મહારાષ્‍ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મધ્‍યપ્રદેશ ટોપ ૪ રાજ્‍યો હતા.
૨૦૨૦માં કૃષિ ક્ષેત્રમાં ૧૦૬૬૭ આત્‍મહત્‍યાઓ થઇ છે. જે દેશની કુલ આત્‍મહત્‍યા ૧,૫૩,૦૫૨ના ૭ ટકા છે. આ આત્‍મહત્‍યાઓના કેસોમાં ૫૫૭૯ ખેડૂતો (જેમની પાસે પોતાની જમીન છે) અને ૫૦૯૮ ખેતમજૂરોની આત્‍મહત્‍યાઓ સામેલ છે.  એવું માનવામાં આવી રહ્યું છે કે કૃષિ મજૂરોની આત્‍મહત્‍યામાં વધારો થવાનું કારણ એ છે કે જમીન વિહોણા ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ નાણાકીય સહાય નથી મળતી અને તેમની ઘર ચલાવવાનું સંકટ ઉભું થાય છે. મોટાભાગના જમીન વિહોણા ખેડૂતોએ સાધનના અભાવે ખેતમજૂર તરીકે કામ કરવું પડે છે. સરકારી સહાયના મળવાના કારણે પણ તેઓ સંકટમાં ફસાય છે અને આત્‍મહત્‍યા સિવાય તેમની પાસે કોઇ વિકલ્‍પ નથી રહેતો.

 

(11:25 am IST)