Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

૪૦ કરોડ અસંગઠિત ક્ષેત્રોના કર્મી માટે EPFOના દ્વાર ખુલશે

દેશના અર્થતંત્રને બેઠું કરવા સરકારનો નિર્ણય : કેન્દ્રીય મંત્રીમંડળની આત્મનિર્ભર ભારત યોજનાને મંજૂરી સામાજીક સુરક્ષા સંહિતા ૧ એપ્રિલથી લાગૂ કરવા તૈયારી

નવી દિલ્હી, તા. ૨૯ : કોરોના મહામારીના મહાસંકટમાંથી અર્થતંત્રને બેઠુ કરવા માટે મોદી સરકાર એક પછી એક મહત્વના નિર્ણય લઈ રહી છે. હવે કરોડો કામદારોને મોદી સરકાર વધુ એક ભેટ આપવા જઈ રહી છે. રોજગાર વધારવા માટે કેન્દ્રિય મંત્રીમંડળે આત્મનિર્ભર ભારત યોજનાને મંજૂરી આપી દીધી છે. સાથે સામાજીક સુરક્ષા સંહિતાને આગલા વર્ષે એપ્રિલથી લાગૂ કરવાની તૈયારી છે. જેથી દેશભરમાં ૪૦ કરોડ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારા કારીગરો માટે ઈપીએફઓના દરવાજા ખુલી શકે છે. વર્ષ ૨૦૨૧માં સરકાર ઈપીએફઓમાં પણ આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને લાગુ કરવા પર જઈ રહી છે. યોજના બાદ અસંગઠિત ક્ષેત્ર પણ ઈપીએફઓ હેઠળ આવશે. યોજના હેઠળ કર્મચારીઓને પણ આવરી લેવામાં આવશે જેમણે ઓક્ટોબર ૨૦૨૦થી ૩૦ જૂન ૨૦૨૧ વચ્ચે નોકરીમાં જોડાયા છે.

યોજના પર વર્તમાન નાણાકીય વર્ષમાં ૧૫૮૪ કરોડ રૂપિયા ખર્ચ કરશે. ૨૦૨૦-૨૦૨૩ સુધી સંપૂર્ણ યોજના પર ૨૨૮૧૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. દેશમાં આશરે ૪૦ કરોડથી વધારે અસંગઠિત ક્ષેત્ર છે જે કોઇ પણ સંસ્થા કે વેતન રજીસ્ટરમાં નથી આવતા. હવે સરકારે દરેક સંસ્થાને ઇપીએફઓ હેઠળ લાવવાની યોજના બનાવી છે. બે વર્ષ માટે સબ્સિડી એમ્પલોયર્સ દ્વારા કરવામાં આવેલા રિટાયર્મેન્ટ ફંડ કંટ્રીબ્યુશન એટલે કે પીએફને કવર કરવા માટે હશે. પીએફમાં ૧૨ ટકા યોગદાન અને એમ્પલોયર દ્વારા કરવામાં આવેલા ૧૨ ટકા યોગદાન એટલે કે ૨૪ ટકા યોગદાન બરાબર સબ્સિડી સરકાર તરફથી આપવામાં આવશે.

(7:59 pm IST)