Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

દરેક ઘરમાંથી એક વ્યક્તિને આંદોલનમાં મોકલવા આદેશ

પંજાબના ગામોની કેટલીક પંચાયતોનો નિર્ણય : પંજાબના ભઠીંડાની એક ગ્રામ પંચાયતે આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં આશ્ચર્યજનક આદેશ કર્યો

નવી દિલ્હી, તા. ૨૯ : દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સતત નવા નવા વળાંક આવી રહ્યા છે. ૨૬મી જાન્યુઆરીના થયેલા તોફાનો બાદ બીજા દિવસે બોર્ડર પર હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ફરી એક વખત ખેડૂત આંદોલનને વેગ મળી રહ્યાની સ્થિતિ બની રહી છે. સરકારના કડલ વલણ બાદ ખેડૂતો બોર્ડર પરથી પાછા ફરી રહ્યા હતા. પરંતુ પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે. મહાપંચાયત યોજાઈ છે. તો પંજાબના ભઠીંડા જિલ્લાની એક ગ્રામ પંચાયતે આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં આશ્ચર્યજનક આદેશ કર્યો છે. દરેક ઘરેથી ફરજિયાત કોઈ એક સભ્ય બોર્ડર પહોંચે અને ૭ દિવસ સુધીત્યાં રોકાય.

પંજાબના બઠિંડા જિલ્લાના ગામ વિર્ક ખુર્દની પંચાયતે આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં એક આશ્ચર્યજનક આદેશ કર્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે ગામના દરેક પરિવારમાંથી એક સભ્યએ દિલ્હી બોર્ડર જવું પડશે. જે પરિવાર આ આદેશ નહીં માને તેમને ૧૫૦૦ રૂપિયાનો દંડ કરાશે અથવા તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. પંજાબની બીજી પંચાયતો પણ આવો પ્રસ્તાવ પસાર કરવાની તૈયારી કરી રહી છે.

ગત ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસા અને ત્યાર પછી સરકારના કડક વલણને ધ્યાનમાં રાખીને ખેડૂતો ઘરે પરત ફરી રહ્યા છે. પરિણામે આંદોલન કરતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ સંજોગોમાં હવે પંચાયતોએ આગળ આવીને મોરચો સંભાળ્યો છે. પંજાબના ગુરુદ્વારામાંથી એવી જાહેરાત કરવાનું કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં આંદોલન હજી ચાલુ જ છે, વધુ ને વધુ લોકો દિલ્હી પહોંચો. કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન રાખવો.

વિર્ક ખુર્દ પંચાયતના આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આંદોલનમાં જનારી વ્યક્તિએ ત્યાં ઓછામાં ઓછા સાત દિવસ રહેવું પડશે. આંદોલનમાં જો કોઈના વાહનને નુકસાન થશે તો એ નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી સંપૂર્ણ રીતે ગામની રહેશે. જે પરિવાર આ આદેશ નહીં માને તેમને ૧૫૦૦ રૂપિયાનો દંડ કરાશે અથવા તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. પંજાબની બીજી પંચાયતો પણ આવો પ્રસ્તાવ પસાર કરવાની તૈયારી કરી રહી છે.

ભારતીય કિસાન યુનિયન ફરી લોકો સુધી સોશિયલ મીડિયા દ્વારા પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેઓ અપીલ કરી રહ્યા છે કે ગામડાંના ગુરુદ્વારાથી જાહેરાત કરીને જણાવવામાં આવે કે,  દિલ્હી બોર્ડર પર આંદોલનનું સ્ટેજ ફરી લાગી ગયું છે. બધા ફરી શાંતિથી ધરણાં કરવા બેસી ગયા છે. ટીવી પર આંદોલનકારીઓ પરત ફરી રહ્યા છે એવી ખોટી અફવા ચાલી રહી છે. હકીકત એના કરતાં સાવ ઊંધી છે કે દિલ્હીમાં બમણી ભીડ ભેગી થવા લાગી છે. દિલ્હીમાં ઈન્ટરનેટ બંધ છે, નહીં તો તમને ઘટનાસ્થળની સ્થિતિ લાઈવ કરીને બતાવી દેત.

(12:00 am IST)