Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

જાસૂસીના કેસમાં પાક. જેલમાં બંધ માલધારીની વતન વાપસી

૨૦૦૮માં માલધારી ભૂલથી પાક પહોંચી ગયો હતો : ૧૪ જાન્યુઆરીએ ઈસ્લામાબાદ હાઈકોર્ટના આદેશ બાદ છેવટે ૨૨મીએ માલધારીને મુક્ત કરવામાં આવ્યો હતો

ભૂજ, તા. ૩૦ : વર્ષ ૨૦૦૮માં કચ્છના નાના દિનારા ગામમાં ઢોર ચરાવતો માલધારી ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયો હતો. પાકિસ્તાને તેને જાસૂસીના આરોપમાં જેલમાં બંધ કરી દીધો હતો. સજા પૂર્ણ થયા પછી પણ તેને મુક્ત ના કરાતા ભારતીય વિદેશ મંત્રાલયે રજૂઆત કરી હતી. ૧૪ જાન્યુઆરીએ ઈસ્લામાબાદ હાઈકોર્ટના આદેશ બાદ છેવટે ૨૨ જાન્યુઆરીએ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. આમ બાર વર્ષે પાકિસ્તાની અધિકારીઓએ તેને ભારતીય અધિકારીઓના હવાલે કરતાં નાના દિનારા માલધારીએ સ્વદેશની ધરતી પર પગ મૂક્યો હતો. ૧૨ વર્ષ પછી શુક્રવારે ૫૨ વર્ષીય માલધારી પોતાના પરિવારને મળ્યો ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આટલા વર્ષો દરમિયાન તેને પોતાની પત્ની અને આઠ બાળકોની ચિંતા કોરી ખાતી હતી.

અંગે વિગતે જણાવીએ તો, ૨૮ ઓગસ્ટ ૨૦૦૮ના રોજ નાના દિનારા ગામનો ઈસ્માલ સમા ઢોર ચરાવતી વખતે અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારને લાગ્યું કે તે રસ્તો ભટકી ગયો હશે અને પાકિસ્તાન તરફ ચાલી નીકળ્યો હશે અથવા પાકિસ્તાની રક્ષકોએ તેનું અપહરણ કરી લીધું હશે. એક દાયકા સુધી તેના કોઈ સમાચાર નહોતા પરંતુ ૨૦૧૭માં પાકિસ્તાનની કરાંચી જેલમાંથી છૂટીને આવેલા કચ્છના રફીકે ઈસ્માઈલ પણ ત્યાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેના પરિવારજનો અને ભારત સરકારે ઈસ્માલને પાછો લાવવા માટે કવાયત શરૂ કરી હતી.

ઈસ્માઈલ ગુમ થયો ત્યારથી તેનો મોબાઈલ મોટા દીકરા અતાઉલ્લા પાસે હતો. નંબર ફોન આવ્યો અને અતાઉલ્લાને જણાવાયું કે તેના પિતાને શુક્રવારે સાંજે અમૃતસર બોર્ડર પર મુક્ત કરવામાં આવશે. નોંધનીય છે કે, કુલભૂષણ જાધવના કેસમાં જાન્યુઆરીએ સુનાવણી થઈ ત્યારે  ભારતે ઈસ્લામાબાદ હાઈકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે સજા પૂરી થઈ હોવા છતાં ઈસ્માઈલ સમાને પાકિસ્તાની જેલમાં કેદ રખાયો છે. જે બાદ હાઈકોર્ટ ૧૪ જાન્યુઆરીએ ફરી સુનાવણી કરી ત્યારે ઈસ્માઈલને ૨૨મીએ મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

મહત્વનું છે કે, પાકિસ્તાને ઈસ્માઈલને મુક્ત કરી દેતાં ગૃહ મંત્રાલયે ગુજરાત સરકારને જાણ કરી હતી. ઈસ્માઈલ અમૃતસર આવ્યો ત્યારે ત્યાંના વહીવટી તંત્રએ કચ્છના વહીવટી તંત્રને તેનો કબ્જો લેવા માટે લેખિત જાણ કરી હતી. પરંતુ કચ્છના અધિકારીઓ તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયો હોવાથી પહેલ જિલ્લા વહીવટી તંત્રએ કરવી જોઈએ પરંતુ તેનો પરિવાર ભુજથી તેને લેવા ગયો હતો. જો કે, ભુજના વહીવટી તંત્ર તરફથી કોઈ જવાબ નહીં મળે ત્યાં સુધી તેને મુક્ત નહીં કરાય તેમ અમૃતસરથી જાણવા મળ્યું હતું. જો કે, તમામ પ્રક્રિયાઓ પૂરી થયા પછી તે વતન પરત ફર્યો હતો.

(9:19 pm IST)