Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

જાણીતા અભિનેતા આશુતોષ ભાકરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

ડિપ્રેશનના કારણે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ : ફિલ્મ ઉદ્યોગ આઘાતમાં ગરકાવ

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસ હજુ તાજો છે ત્યારે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા આશુતોષ ભાકરેએ  પણ જીવન ટૂંકાવ્યું છે. 32 વર્ષના આશુતોષે 29-જુલાઈના રોજ મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.

આશુતોષના સ્યૂસાઈડ પાછળ ડિપ્રેશનને મુખ્ય કારણ જણાવાઈ રહ્યું છે. આશુતોશના સમાચાર સાંભળીને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં સરી પડી છે.આશુતોષ ભાકરે મરાઠી અભિનેત્રી મયૂરી દેશમુખનો પતિ પણ હતો. આશુતોષના આ પગલાથી સમગ્ર પરિવાર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. જો કે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે, આખરે ક્યાં કારણોસર આશુતોષે આ જીવલેણ પગલુ ભર્યું છે?

આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે, આશુતોશના માતા-પિતા જ્યારે બુધવારની બપોરે ગણેશનગર વિસ્તારમાં આવેલ ફ્લેટ પર આવ્યા, ત્યારે તેમણે અભિનેતાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મરાઠી એક્ટર છેલ્લા કેટલાક દિવસોથી તનાવમાં હતો. હાલ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે.

 આશુતોષ ભાકરેએ “ભાકર” અને “ઈચાર ઠરલા પક્કા” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 2016માં જ અભિનેત્રી મયુરી દેશમુખ સાથે લગ્ન કર્યાં હતા. બન્ને જણા પોતાના લગ્નજીવનથી ખૂબ જ ખુશ હતા. આશુતોષ લોકડાઉન દરમિયાન જ પોતાની પત્ની સાથે નાંદેડ સ્થિત પોતાના ઘરે રહેવા આવ્યા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 14 જૂન, 2020ના રોજ બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પણ મુંબઈ સ્થિત પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલુ કર્યું હતું. મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે, નવેમ્બર-2019થી સુશાંત ડિપ્રેશનમાં હતો. જો કે હવે સુશાંતના પિતા કેકે સિંહે આ મામલે પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે. જેમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ઉપર સનસનીખેજ આરોપ લગાવામાં આવ્યા છે.

(3:07 pm IST)