Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

વાવાઝોડાનું સંકટ ટળ્યું: પાકિસ્તાન તરફ ફંટાયું: અસર રહેશે

ગુજરાતના માથા પરથી શાહીન વાવાઝોડાનું સંકટ તો ટળી ગયુ છેઃ તેની માત્ર અસર ગુજરાતમાં જોવા મળશે

નવી દિલ્હી, તા.૩૦: ગુજરાતના માથા પરથી શાહીન વાવાઝોડાનું સંકટ તો ટળી ગયુ છે. તેની માત્ર અસર ગુજરાતમાં જોવા મળશે. વાવાઝોડાની અસરના રૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રોકાવાનુ નામ જ નથી લઈ રહ્યો. ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે.

ગુજરાત પર નથી વાવાઝોડાનો કોઈ ખતરો રહ્યો નથી. હવામાન વિભાગે માહિતી આપી કે, અરબ સાગરમાં 'શાહીન' નામનું વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. જો કે, ગુજરાત પર કોઈ ખતરો નથી. કેમ કે, શાહીન વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. પરંતુ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે.

ગુજરાતમાં તૌકતે વાવાઝોડા બાદ હવે શાહીન વાવાઝોડાનું સંકટ માથે મંડરાઈ રહ્યુ હતું. પણ હવે અરબ સાગરમાં ઉઠેલા આ વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ ફંટાઈ છે. જોકે, તેની અસરના ભાગરૂપે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ આવશે. આજથી ત્રણ દિવસ વાવાઝોડાની અસર ગુજરાતમાં રહેશે. રાજયના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. એટલુ જ નહિ, આ વિસ્તારોમાં ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. જેની રફ્તાર ૮૦ થી ૯૦ કિમી સુધી પણ જઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, આજે ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શકયતા છે. તોફાની પવન અને વરસાદને કારણે તમામ રાજયોના તંત્ર એલર્ટ મોડ પર છે. આ ઉપરાંત ગુજરાતના ૧૭ જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. ગુજરાતના અનેક બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે અને માછીમારોને દરિયો ખેડવા ન જવા કોસ્ટગાર્ડ દ્વારા સતત સૂચના આપવામાં આવી રહી છે.

આગામી ૨૪ કલાક ગુજરાતના માથા પર વરસાદનું સંકટ રહેશે. દક્ષિણ અમદાવાદમાં અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે.

(11:47 am IST)